Gandhinagar

સર્કિટ હાઉસના સંચાલનમાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ, 3 મહત્ત્વના સ્થળોએ ખાનગીકરણ

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં સરકારી અતિથિ ગૃહોના સંચાલનમાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. પ્રથમવાર અંબાજી, દ્વારકા અને સોમનાથના 3 સર્કિટ હાઉસનું સંચાલન 1.5 કરોડમાં 'મેકવે મેનેજમેન્ટ'ને અપાયું. 50 કરોડના ખર્ચે બનેલા આ સર્કિટ હાઉસ હવે ખાનગી પાર્ટીઓના વ્યાપારી ધામા બનશે. 25% રૂમ સરકારી મહેમાનો માટે, બાકીના 75% સામાન્ય જનતા માટે ઉપલબ્ધ રહેશે. સલામતી અને ગરિમા જાળવણી સામે સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્કિટ હાઉસના સંચાલનમાં પણ ગુજરાત સરકાર નિષ્ફળ, 3 મહત્ત્વના સ્થળોએ ખાનગીકરણ

ગુજરાતમાં દાયકાઓ પહેલા નિર્માણ પામેલા અને ધારાસભ્યો, મંત્રીઓ, આઈ.પી.એસ. અધિકારીઓ તેમજ વરિષ્ઠ પત્રકારોને અત્યંત સલામત અને બિનવિવાદિત વાતાવરણમાં નિવાસની સવલતો પૂરી પાડતા સરકારી અતિથિ ગૃહોના સંચાલનમાં રાજ્ય સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યના અતિ મહત્ત્વપૂર્ણ એવા અંબાજી, દ્વારકા અને સોમનાથ ખાતે આવેલા 3 સર્કિટ હાઉસનું સંચાલન આશરે 1.5 કરોડ રૂપિયામાં 'મેકવે મેનેજમેન્ટ' નામની ખાનગી પાર્ટીને સોંપવામાં આવ્યું છે.

પીપીપી મોડેલ હેઠળ પ્રજાની મિલકતોનું વ્યવસ્થાપન

રાજ્યભરમાં સરકારી માલિકીના કુલ 100 જેટલા સર્કિટહાઉસીઝ આવેલા છે, જેમાંથી આ 3 સ્થળો એવા છે જ્યાં દેશ-વિદેશથી દર વર્ષે અંદાજે 1 થી 1 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ અને યાત્રિકો મુલાકાતે આવે છે. આ સ્થળોએ સર્કિટ હાઉસની માંગ હંમેશા ઉચ્ચ સ્તરે રહે છે. વહીવટી તંત્રની નિષ્ફળતા પર સવાલ એટલા માટે ઊભા થાય છે કે હજુ માંડ 4 વર્ષ પહેલા જ 50 કરોડ રૂપિયાથી વધુના જંગી ખર્ચે અને હજારો ચોરસ મીટર વિશાળ જમીન પર અત્યાધુનિક દ્વારકા અને સોમનાથના સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યા હતા, જે હવે પીપીપી મોડેલ હેઠળ ખાનગી પાર્ટીઓના વ્યાપારી ધામા બનશે.

ઓક્યુપન્સી રેશિયો અને રૂમની નવી ફાળવણી

માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અંબાજી, દ્વારકા અને સોમનાથના આ ભવ્ય સર્કિટહાઉસમાં વાર્ષિક સરેરાશ માત્ર 25 ટકા જ ઓક્યુપન્સી જોવા મળતી હતી. આ ઓછા વપરાશને ધ્યાનમાં રાખીને એક નવો વ્યવહારુ નિર્ણય લેવાયો છે. જેના અંતર્ગત હવે માત્ર 25 ટકા રૂમ જ સરકારી વી.આઈ.પી. મહેમાનો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બાકીના 75 ટકા રૂમ ખાનગી સંચાલક એજન્સી દ્વારા પોતાની વ્યાપારી નીતિઓ અને જરૂરિયાત મુજબ સામાન્ય જનતા કે અન્ય લોકો માટે બુક કરી શકાશે.

સરકારી સ્પષ્ટતા અને ગરિમા સામે ઉઠતા ગંભીર સવાલો

સરકાર અને શાસક પક્ષના નેતાઓનો દાવો છે કે રૂમ સર્વિસ અને તેની જાળવણીમાં ગુણવત્તા લાવવા માટે આ વ્યવસ્થા અનિવાર્ય હતી. જો કોઈ નાગરિક કે પક્ષ તરફથી ફરિયાદ આવશે તો ખાનગી પાર્ટીનું સંચાલન રદ પણ કરી શકાશે તેવી ખાતરી અપાઈ છે. તેમ છતાં, વ્યાપારી હોટલો અને રિસોર્ટની જેમ ખાનગી સંચાલકોને સોંપાયેલા આ પવિત્ર અતિથિ ગૃહોમાં આગંતુકોની સલામતી, સામાજિક મર્યાદા અને તેની ગરિમા કેટલી જળવાઈ રહેશે તે એક મોટો ચિંતાનો વિષય બન્યો છે.