ગુજરાતભરમાં FDCAના દરોડા: બે દિવસમાં 5.28 લાખનો 1705 કિલો બનાવટી 'ડેરી એનાલોગ'નો જથ્થો ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Dairy Analogs Ban: રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અસામાજિક તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. રાજ્યમાં દૂધ, પનીર અને ચીઝના નામે વેચાતા બનાવટી 'ડેરી-એનાલોગ્સ' સામે તંત્ર દ્વારા ચલાવવામાં આવેલી સઘન તપાસ ઝુંબેશમાં અત્યાર સુધીમાં આરોગ્ય માટે હાનિકારક એવો 1705 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો ઝડપી પાડીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે.
કુલ 842 પેઢીઓમાં તપાસ
આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુસર 06 અને 07 ઓગસ્ટ, 2026 દરમિયાન રાજ્યભરમાં ખાસ આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ બે દિવસીય અભિયાન દરમિયાન તંત્રની વિવિધ ટીમોએ કુલ 842 પેઢીઓમાં તપાસ કરી હતી.
કયા શહેરમાં કેટલો જથ્થો નાશ કરાયો?
06 ઓગસ્ટના દરોડા
- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન: 471 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 1.5 લાખ)
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન: 235 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 58 હજારથી વધુ)
- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન: 115 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 30 હજારથી વધુ)
07 ઓગસ્ટના દરોડા
- જૂનાગઢ જિલ્લો: 585 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 2.04 લાખથી વધુ)
- સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન: 27 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 6,750)
- જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન: 29 કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. 6,500)
આમ, માત્ર બે દિવસમાં જ અંદાજે રૂ. 5.28 લાખ કિંમતના હાનિકારક પનીર અને ચીઝ એનાલોગના જથ્થાને જપ્ત કરીને નાશ કરવાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ડેરી-એનાલોગ્સ એટલે શું?
ડેરી-એનાલોગ્સ એટલે કે દૂધની બનાવટો જેવી જ દેખાતી બનાવટી પ્રોડક્ટ્સ. દૂધ, પનીર કે ચીઝમાં અસલી મિલ્ક ફેટને બદલે સસ્તા વેજીટેબલ ઓઈલ (પામ ઓઈલ), સ્ટાર્ચ અને હાનિકારક કેમિકલ્સ ઉમેરીને આ નકલી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે, જે બજારમાં અસલીના નામે વેચાય છે અને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થાય છે.
તંત્રની કડક ચેતવણી
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું છે કે, ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરીને એનાલોગ્સ (બનાવટી પ્રોડક્ટ્સ) વેચનાર કોઈપણ વેપારી કે ઉત્પાદકને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં પણ રાજ્યભરમાં આ પ્રકારની આકસ્મિક તપાસ અને દરોડાની ઝુંબેશ વધુ સઘન રીતે ચાલુ રહેશે, જેથી બજારમાં માત્ર ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો જ ઉપલબ્ધ રહે.









