Entertainment

'હવે જે થવું હોય તે થાય, હું ચૂપ નહીં રહું' - સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

By GS Team
16 Jul 20264 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ લદ્દાખના જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકના સમર્થનમાં એક વીડિયો જાહેર કર્યો છે. સોનમ વાંગચુક 18 દિવસથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ઉપવાસ પર છે. સોનાક્ષીએ સરકારને સવાલ કર્યો કે, જો સોનમ વાંગચુકને કંઈ થશે તો જવાબદારી કોની રહેશે? આ મુદ્દે રાખી સાવંત સહિત અનેક ચાહકોએ સોનાક્ષીના સમર્થનની પ્રશંસા કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'હવે જે થવું હોય તે થાય, હું ચૂપ નહીં રહું' - સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા

Sonakshi Sinha Releases Video In Support Of Sonam Wangchuk : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા સામાન્ય રીતે રાજકીય કે, સામાજિક મુદ્દાઓ પર બહુ ઓછી વાત કરે છે, અને પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. પરંતુ ગુરુવારે તેમણે સોનમ વાંગચુકના સમર્થનમાં એક વીડિયો શેર કર્યો હતો, અને તેમના પ્રશંસનીય કાર્યોની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે સરકાર સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. સોનમ વાંગચુકની બગડતી તબિયત અને અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર સોનાક્ષી સિંહાએ ખુલીને સમર્થન કર્યુ.

સોનાક્ષી સિંહાએ સોનમ વાંગચુક વિશે શું કહ્યું?

અભિનેત્રી સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, 'હું ક્યારેય આવા નિવેદનો આપતી નથી, પરંતુ હવે મારાથી રહેવાયું નહીં. સોનમ વાંગચુક 18 દિવસથી ઉપવાસ પર બેઠા છે. તે ભૂખ્યા છે. તે કોના માટે બેઠા છે? તે એવા બાળકોના ભવિષ્ય માટે બેઠા છે, જેમને તે જોઈ રહ્યા છે કે, બરબાદી તરફ જઈ રહ્યું છે. તે એવા બાળકો માટે લડી રહ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સોનમ વાંગચુક, એ સિસ્ટમ સામે લડી રહ્યા છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહી.'

અભિનેત્રીએ સરકાર સામે પણ કર્યા સવાલો

આગળ સોનાક્ષી સિંહાએ સોનમ વાંગચુક અને કૉકરોચ જનતા પાર્ટીના ખૂબ વખાણ કર્યા હતા. યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ તેમણે CJPની પ્રશંસા કરી હતી. આ સાથે જ તેમણે સરકારને સવાલ કર્યો હતો કે, 'જો સોનમ વાંગચુકને કંઈ થઈ જશે અથવા તે મૃત્યુ પામશે તો તેની જવાબદારી કોની રહેશે?'

વીડિયોમાં સોનાક્ષીએ કહી આ મોટી વાતો

હવે આ સ્થિતિ જોઈ શકાતી નથી, મારું મન માનતું નથી.

સોનમ વાંગચુક 18 દિવસથી બાળકોના ભવિષ્ય માટે લડી રહ્યા છે.

તેઓ એક એવી સિસ્ટમ વિરુદ્ધ લડી રહ્યા છે, જે યોગ્ય રીતે કામ નથી કરી રહી.

મારાથી હવે ચૂપ રહી શકાયું નથી, હવે જે થવું હોય તે થાય, પણ હું મૌન નહીં રહું.

કોઈ વાત કેમ સાંભળતું નથી? મેં નક્કી કર્યું કે, હું શા માટે ચૂપ રહું, હું કોઈ રાષ્ટ્રવિરોધી નથી.

સવાલ માત્ર એટલો જ છે કે, જ્યારે આ માણસ પોતાનો જીવ ગુમાવી દેશે, શું ત્યારે તમે બોલશો?

આપણે આપણી આંખો ખોલી લેવી જોઈએ, ભલે બીજું કોઈ ખોલે કે ન ખોલે.

રાખી સાવંત સહિત ફેન્સે સોનાક્ષી સિંહાને બિરદાવી

સોનાક્ષી સિંહાએ જે રીતે સોનમ વાંગચુકના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે, તેને રાખી સાવંતે બિરદાવ્યો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સે પણ આ મહત્વના મુદ્દા પર હિંમત દાખવવા અને વાત કરવા બદલ સોનાક્ષીનો આભાર માન્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સોનમ વાંગચુક જંતર-મંતર પર 18 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે, જેના કારણે તેમની તબિયત લથડી રહી છે. બોલિવૂડના અન્ય કલાકારોએ પણ સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમેટી લેવા માટે અપીલ કરી છે.

ઇમરાન ખાને પણ ઉઠાવ્યા સવાલો

આ સમગ્ર વિવાદ વચ્ચે અભિનેતા ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનું દર્દ વ્યક્ત કરતા એક ખૂબ જ ભાવુક અને મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'છેલ્લા કેટલાક અઠવાડિયામાં નીટ (NEET) કૌભાંડને લઈને જે કંઈ પણ થયું, અને જે પ્રકારની વાતો સામે આવી, તે જોવું ખરેખર ખૂબ જ પરેશાન કરનારું છે.' ઇમરાને સ્પષ્ટ કર્યું કે, આ કોઈ રાજકારણનો વિષય નથી, પરંતુ દેશના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી બાબત છે. તેમણે સીધા શબ્દોમાં સવાલ કર્યો કે, 'જો આપણે આપણા વિદ્યાર્થીઓ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે, તેઓ સંપૂર્ણ ઈમાનદારી અને લગન સાથે પરીક્ષા આપે, તો પછી પરીક્ષા આયોજિત કરનારી સરકારી સંસ્થાઓ પાસેથી પણ તે જ સ્તરની ઈમાનદારી અને જવાબદારીની અપેક્ષા શા માટે ન રાખવી જોઈએ?'

વાંગચુકના સમર્થનમાં એકજૂથ થયું બોલિવૂડ

વિદ્યાર્થીઓના હકની આ લડાઈમાં હવે સોનમ વાંગચુક એકલા નથી. ઇમરાન ખાન સિવાય સિનેમા જગતના ઘણા દિગ્ગજ ચહેરાઓ પણ તેમની સાથે ઉભા જોવા મળી રહ્યા છે. શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, સોનાક્ષી સિંહા, વીર દાસ, વિશાલ દદલાની, ભુવન બામ, આશિષ ચંચલાની, મુનવ્વર ફારુકી અને સ્વરા ભાસ્કર જેવી હસ્તીઓએ જાહેર રૂપે આ આંદોલનને પોતાનું સમર્થન આપ્યું છે.

19 દિવસથી ભૂખ હડતાળ પર સોનમ વાંગચુક

નીટ (NEET) કૌભાંડના વિરોધમાં સોનમ વાંગચુક છેલ્લા 19 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરીને અચોક્કસ મુદતના ઉપવાસ પર છે. વાંગચુકના આ આમરણાંત ઉપવાસને જોતા તેમના સમર્થકો અને સામાન્ય જનતામાં તેમની તબિયતને લઈને ચિંતા ખૂબ વધી ગઈ છે. આ જ ચિંતાના કારણે દિલ્હી હાઈકોર્ટમાં એક જનહિત અરજી (PIL) પણ દાખલ કરવામાં આવી છે, જેમાં અદાલતને વિનંતી કરવામાં આવી છે કે, વાંગચુકની ગંભીર સ્થિતિને જોતા તેમને તાત્કાલિક યોગ્ય તબીબી સહાય પૂરી પાડવામાં આવે.