Get The App

ફેમસ સિંગર ઇન્દર કૌરની અપહરણ બાદ હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહઃ ઇન્સ્ટાગ્રામની દોસ્તીનો ખૌફનાક અંત

Updated: May 19th, 2026

GS TEAM

Google News
Google News
Punjabi Singer Inder Kaur Murder


(IMAGE - instagram/inderkaurofficial)

Punjabi Singer Inder Kaur Murder: પંજાબી સિંગર ઇન્દર કૌર ઉર્ફે યશઇન્દર કૌર (29 વર્ષ)ની હત્યાનો એક મામલો સામે આવ્યો છે. સોમવારે સવારે આશરે 11 વાગ્યે તેની લાશ નીલો નહેરમાંથી મળી આવી હતી. મળતી માહિતી મુજબ, ઇન્દર કૌરનું આશરે 6 દિવસ પહેલા બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તેનો પરિવાર સતત તેમની શોધખોળ કરી રહ્યો હતો. આ ઘટના બાદ સિંગરના પરિવારમાં ભારે શોકનો માહોલ છે.

લગ્નનો ઇનકાર કરતા કેનેડાથી આવીને કરી હત્યા

મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે મોગાનો રહેવાસી એક યુવક ઇન્દર પર જબરદસ્તીથી લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો હતો. ઇન્દરે લગ્ન કરવાની ના પાડતા આરોપીએ તેનું અપહરણ કરી લીધું હતું. પરિવારનું કહેવું છે કે આરોપીએ હત્યાનું કાવતરું પહેલેથી જ ઘડી રાખ્યું હતું અને તે આ જ ઈરાદા સાથે કેનેડાથી નેપાળના રસ્તે પંજાબ પહોંચ્યો હતો. આ ભયાનક ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરીથી નેપાળના રસ્તે થઈને કેનેડા ભાગી ગયો હતો.

ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી દોસ્તી

પરિવારના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર ઇન્દર કૌરની ઓળખાણ આ યુવક સાથે થઈ હતી અને બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જોકે, પાછળથી ઇન્દરને ખબર પડી કે આરોપી પહેલેથી જ પરણિત છે અને તેને બાળકો પણ છે. આ સત્ય સામે આવ્યા બાદ ઇન્દરે તેની સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ જ વાતની અદાવત રાખીને આરોપીએ તેની હત્યા કરી નાખી.

આ પણ વાંચો: સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં અચાનક નીકળ્યો સાપ, સુરક્ષાકર્મીઓમાં દોડધામ

પોલીસ તપાસ અને વિદેશમાં રહેતો પરિવાર

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને નહેરમાંથી લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સમરાલાની સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હાલ પોલીસ આ મામલે જુદા-જુદા પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મૃતક ઇન્દર કૌરના માતા-પિતા અને બે ભાઈઓ કોરિયામાં રહે છે, જ્યારે તેમનો એક ભાઈ લુધિયાણાના જમાલપુર વિસ્તારમાં રહે છે.