| (IMAGE - IANS) |
Dileep Raj Death : કન્નડ ફિલ્મ અને ટેલિવિઝન જગત માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને નિર્માતા દિલીપ રાજનું 48 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. તેમના અચાનક નિધનથી મનોરંજન જગત અને તેમના ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
કન્નડ ફિલ્મ જગતનો ચર્ચિત ચહેરો રહ્યા
દિલીપ રાજને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. તેઓ 'મિલના' જેવી ફિલ્મો અને 'હિટલર કલ્યાણા' જેવા લોકપ્રિય ટીવી શો માટે જાણીતા હતા. તેઓ અભિનય ઉપરાંત ફિલ્મ-નાટક નિર્માણ, થિયેટર અને ડબિંગ ક્ષેત્રે પણ સક્રિય હતા.દિલીપ રાજે કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી યાદગાર ફિલ્મો આપી છે, જેમાં 'મિલના', 'યુ-ટર્ન', 'ઓર્કેસ્ટ્રા મૈસુર' અને 'લવ મોકટેલ 3' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મ 'મિલના'માં દિવંગત અભિનેતા પુનીત રાજકુમાર સાથે ખલનાયકની ભૂમિકા ભજવીને તેઓ લોકપ્રિય થયા હતા.
ટેલિવિઝન જગતમાં પણ છવાયા
ફિલ્મો સિવાય, તેઓ ટેલિવિઝન જગતનો પણ જાણીતો ચહેરો હતા. તેમણે 'રંગોલી', 'કુમકુમ ભાગ્ય', 'મંગલ્યા' અને 'હિટલર કલ્યાણા' જેવી અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. નિર્માણ ક્ષેત્રે પણ તેમણે 'ડીઆર ક્રિએશન્સ' બેનર હેઠળ 'પારુ' અને 'કૃષ્ણા રુક્કુ' જેવી સફળ સિરિયલોનું નિર્માણ કર્યું હતું.
આ પણ વાંચો: રણવીર મહાદેવનો રોલ કરવાનો હોવાની વાત ખોટી નીકળી
ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર
દિલીપ રાજના પિતા એચ.એમ. શિવરુદ્રપ્પા હતા અને તેઓ મૂળ અરસિકેરેના વતની હતા. વરિષ્ઠ અભિનેતા ડોડન્ના સહિત કન્નડ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને સહ-કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા દિલીપ રાજને શ્રદ્ધાંજલિ અર્પી છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


