Image : IANS |
Rajpal Yadav about Salman Khan Viral Video Fact Check : રાજપાલ યાદવ અને તિહાર જેલને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે સનસનાટી મચાવી છે. વાઈરલ વીડિયોમાં રાજપાલ યાદવ જેલમાંથી બહાર આવીને સલમાન ખાનનો આભાર માનતા દેખાય છે, જેના કારણે ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું સલમાન ખાને ખરેખર રાજપાલ યાદવની મદદ કરી છે? જોકે, સત્ય કંઈક અલગ જ છે.
વાઈરલ વીડિયો અને લોકોની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં રાજપાલ યાદવ કહી રહ્યા છે કે, "સલમાન ભાઈ મોટા ભાઈ જેવા છે, તેમની સાથે બેસીને આજે અંદરથી ઘણી ખુશી અનુભવાય છે." જ્યારે તેમને રાહત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "સાચે જ રિલીવ (રાહત) અનુભવી રહ્યો છું." આ ક્લિપ જોઈને લોકોએ અંદાજ લગાવ્યો કે 10 દિવસ જેલમાં રહ્યા બાદ સલમાન ખાનની મદદથી રાજપાલ યાદવ જામીન પર બહાર આવી ગયા છે.
શું છે વાઈરલ વીડિયોનું સત્ય?
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો સંપૂર્ણપણે ભ્રામક (Fake) છે. સત્ય નીચે મુજબ છે. વાઈરલ થઈ રહેલી ક્લિપ અત્યારની નથી, પરંતુ વર્ષ 2018ની છે. તે સમયે પણ રાજપાલ યાદવ ચેક બાઉન્સના કેસમાં 3 મહિનાની જેલની સજા કાપીને બહાર આવ્યા હતા.
રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી, 2026ના રોજ 9 કરોડના ચેક બાઉન્સ કેસમાં દિલ્હીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. તેઓ હજુ પણ તિહાર જેલમાં જ છે અને તેમની મુક્તિના કોઈ સત્તાવાર સમાચાર આવ્યા નથી. આ કેસમાં સલમાન ખાને કોઈ જામીન અપાવ્યા હોવાની વાત પાયાવિહોણી છે.
શા માટે જેલમાં છે રાજપાલ યાદવ?
આ સમગ્ર મામલો વર્ષ 2010નો છે. રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. વર્ષ 2018માં પણ તેમણે સજા કાપી હતી, પરંતુ હાલમાં 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સના જૂના કેસમાં ફરીથી સરેન્ડર કરવું પડ્યું છે. પ્રખ્યાત નિર્દેશક પ્રિયદર્શને આ મુશ્કેલ સમયમાં રાજપાલ યાદવનો પક્ષ લેતા કહ્યું કે, "તે ભણતરના અભાવે છેતરાઈ ગયો છે, પરંતુ તે દિલનો ચોખ્ખો માણસ છે." પ્રિયદર્શને પ્રોડ્યુસર્સને રાજપાલની ફી વધારવાની પણ સલાહ આપી છે જેથી તે પોતાનું દેવું ચૂકવી શકે.


