અમાલ મલ્લિક એક વર્ષ બ્રેક લેશે, કોઈ નવું ગીત કમ્પોઝ નહિ કરે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હોસ્પિટલના બિછાનેથી જાહેરાત કરી
- ભૂલભૂલૈયા થ્રીનાં ગીત વખતે સિંગર પસંદગીમાં માથાકૂટથી નાખુશ હોવાની ચર્ચા
મુંબઈ : 'આવારાપન ટુ'ના હીટ ગીત 'યેહ આવારાપન'ના સંગીતકાર અમાલ મલ્લિકે આવતા વર્ષ સુધી તે કોઇ નવી ફિલ્મના ગીતો કમ્પોઝ નહીં કરે તેવી જાહેરાત ગુરૂવારે કરી છે. ૩૬ વર્ષના અમાલે ઇન્સ્ટા પર હોસ્પિટલના બિછાનેથી તસવીર શેર કરી મજાકમાં જણાવ્યું હતું કે વધારે પડતું આવારાપન કરો તો અહીં પહોંચી જાવ.
અમાલ મલ્લિકે જણાવ્યું હતું કે બધું સારું છે. પણ હું મારા આરોગ્ય અને દિલ માટે ઉત્તમ ઇચ્છતો હોઇ બ્રેક લેવા માંગું છું. હું આવતા વર્ષ સુધી કોઇ નવી ફિલ્મનું ગીત કંપોઝ કરવાનો નથી. મારો પ્રવાસ મ્યુઝિકથી સિનેમા ભણી લઇ ગયો પણ હવે હું સંગીત ભણી પાછો ચાલી રહ્યો છું. હાલ તો વિદાય લઉ છું પણ હું પાછો ફરીશ. અમાલ મલ્લિક આઠ વર્ષથી બોલીવૂડમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કામ કરે છે.
રસપ્રદ બાબત એ છે કે તેનું 'આવારાપન ટુ'નું હીટ સોંગ અરિજિતસિંહે ગાયું છે. અરિજિતસિંહે પણ આ વર્ષે જાન્યુઆરીમાં પાર્શ્વગાયનમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી.
'ભૂલભૂલૈયા થ્રી'માં 'મેરે ડોલના ૩.૦' પર કામ કરતી વખતે અમાલને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તે આ ગીત સોનુ નિગમ પાસે ગવડાવવા માંગતો હતો પણ માર્કેટિંગ ટીમ અને મેનેજમેન્ટે અરિજિત સિંહ અને વિશાલ મિશ્રાનું નામ સૂચવ્યું હતું. ગાયકો પસંદ કરવાની સંગીતકારને સ્વતંત્રતા ન અપાતી હોવાની બાબત અમાલને ખટકી હતી.




