Entertainment

અરિજિત બાદ પ્રીતમનો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

By GS Team
16 Jun 20262 mins read
અરિજિત બાદ પ્રીતમનો પણ નિવૃત્તિ લેવાનો સંકેત

- જન્મદિવસ નિમિત્તે પોસ્ટ મૂકી    

- જીવનનાં આગામી વર્ષો અલગ રીતે પસાર કરવા માગે છે તેવી પોસ્ટથી અટકળો    

મુંબઈ : ૧૪ જુને ૫૫ વર્ષ પુરાં કર્યાં તે નિમિત્તે ગાયત-સંગીતકાર પ્રિતમે ચાહકોનો આભાર માનતી પોસ્ટ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરી તેના પગલે એવી અટકળોએ જોર પકડયુ છે કે પ્રિતમ પણ અરિજિતના પગલે ચાલીને ફિલ્મસંગીતની દુનિયાને રામ રામ કરી દેશે. 

પોતાના જન્મદિવસે પ્રિતમે લાંબી પોસ્ટ મુકી જણાવ્યું હતું કે હવે જીવનના આગામી વર્ષો તે અલગ તબક્કામાં ગુજારવા માંગે છે. તેણે ઉમેર્યું હતું કે હું દરેકને વ્યક્તિગત જવાબ આપી શકું તેમ નથી પણ હું દિલથી તમારો આભાર માનું છું. આજે મેં નક્કી કર્યું છે કે મારા જીવનના થોડા વર્ષો અલગ રીતે જીવવાની ભેટ મારી જાતને આપવી. હું જે રહી ગયું છે તે હાંસલ કરવા માંગું છું. 

મારો આ નવો પ્રવાસ વર્ષો સુધી મુલત્વી રહ્યો છે. મુખ્યધારામાં મારો પ્રવાસ જબરદસ્ત રહ્યો છે. પણ હું જે માર્ગ લીધો નથી તેના વિશે હું વધારે કુતૂહલ ધરાવતો રહ્યો છું. 

આ પોસ્ટ સોશ્યલ મિડિયા પર મુકાતાં જ પ્રિતમનું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં શું ભાવિ છે તેની અટકળો મુકતી કોમેેન્ટ્સનો મારો ચાલ્યો છે. ઘણાંએ સીધો સવાલ કર્યો છે કે તે નિવૃત્ત થઇ રહ્યો છે કે શું તો અન્યએ અટકળો બાંધી છે કે તે કામચલાઉ બ્રેક લેવાનો હશે. પણ પ્રિતમે પોતે આ બાબતે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી.