સ્ક્રીન પ્લેના 'સમ્રાટ' કે. ભાગ્યરાજની ચિરવિદાય! CM વિજય, કમલ હાસન સહિતના દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tamil Cinema Veteran K. Bhagyaraj Passes Away: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અહેવાલો અનુસાર, તમિલ સિનેમાના વિખ્યાત અભિનેતા, દિગ્ગજ ડાયરેક્ટર, લેખક અને સ્ક્રીનપ્લે માસ્ટર કે. ભાગ્યરાજનું શનિવારે (27 જૂન 2026)ના રોજ 73 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેમને તીવ્ર હાર્ટ અટેક આવ્યા બાદ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોની તમામ કોશિશ છતાં તેમને બચાવી શકાયા નહોતા. તેઓ પોતાના પરિવારમાં પત્ની અને જાણીતી અભિનેત્રી પૂર્ણિમા તથા બે સંતાનો શંતનુ અને શરણ્યાને વિલાપ કરતા છોડી ગયા છે.
કમલ હાસન અને રજનીકાંતના યુગમાં બનાવી આગવી ઓળખ
જે સમયે તમિલ સિનેમા પર સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસનનો દબદબો હતો, તેવા સમયમાં કે. ભાગ્યરાજે પોતાની અનોખી વાર્તા કહેવાની શૈલી (સ્ટોરીટેલિંગ)થી ફિલ્મ જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમણે એક એવી ફોર્મ્યુલા વિકસાવી જેણે પછીની પેઢીના અનેક ફિલ્મમેકર્સને પ્રેરણા આપી. તેમણે 'મૌનગીથંગલ', 'અંધા 7 નાટકલી' અને 'મુન્ધનાઈ મુડિચુ' જેવી સુપરહિટ ફિલ્મો આપી, જે આજે પણ સિનેમાના વિદ્યાર્થીઓ માટે અભ્યાસનો વિષય છે.
સામાન્ય માણસને બનાવ્યો 'હીરો'
કે. ભાગ્યરાજે તમિલ સિનેમામાં હીરોની વ્યાખ્યા જ બદલી નાખી હતી. તેમણે સાબિત કર્યું કે માત્ર શારીરિક તાકાત જ નહીં, પણ ચતુરાઈ, બુદ્ધિ અને સાદગી પણ એક હીરોને આકર્ષક બનાવી શકે છે. ચશ્મા પહેરેલો તેમનો સ્ક્રીન લુક સામાન્ય માણસ જેવો હતો, જેમાં હીરો અને કોમેડિયન બંનેના ગુણો જોવા મળતા. તેમની ફિલ્મો તમિલ સોસાયટીના વાસ્તવિક પ્રશ્નો અને જાતિગત સંવેદનશીલતા પર ખૂબ જ સચોટ પ્રહારો કરતી હતી.
મહાન ડાયરેક્ટર ભારતીરાજાના શિષ્ય હતા
તેમણે પોતાના કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કરી હતી. ત્યારબાદ પ્રખ્યાત ડાયરેક્ટર ભારતીરાજા તેમની સ્ટોરી કહેવાની કળાથી પ્રભાવિત થયા અને તેમને પોતાની ફિલ્મ 'પુથિયા વાર્પુગલ'માં મુખ્ય અભિનેતા તરીકે તક આપી. નોંધનીય છે કે, કે. ભાગ્યરાજના ગુરુ સમાન ભારતીરાજાનું પણ આ જ મહિને લાંબી બીમારીના કારણે નિધન થયું હતું અને હવે તેમના આ પ્રિય શિષ્યે પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.
ફિલ્મો ઉપરાંત રાજકારણમાં પણ અજમાવ્યું હતું નસીબ
કે. ભાગ્યરાજ ફિલ્મો ઉપરાંત મેગેઝિન પણ ચલાવતા હતા અને તેમણે કમલ હાસનની સુપરહિટ ફિલ્મ 'ઓરુ કૈદિયિન ડાયરી' (જેના પરથી હિન્દીમાં અમિતાભ બચ્ચનની 'આખરી રાસ્તા' બની હતી)ના ડાયલોગ પણ લખ્યા હતા. રાજકારણમાં પણ તેમને ઘણો રસ હતો.
તેઓ AIADMKના સ્થાપક એમ.જી. રામચંદ્રનના મોટા પ્રશંસક હતા. તેમણે પોતાનો રાજકીય પક્ષ 'MGR મક્કલ મુન્નેત્ર કઝગમ' પણ શરૂ કર્યો હતો, જોકે તે ખાસ સફળ રહ્યો નહોતો. ત્યારબાદ તેઓ AIADMK અને DMK પક્ષ સાથે પણ જોડાયા હતા. તેમના નિધનથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ભારતીય સિનેમાએ એક મહાન સ્ક્રીનપ્લે માસ્ટર ગુમાવ્યા છે.








