Magazines

બાળકોને સંપત્તિ નહિ, સંસ્કાર આપો .

By GS Team
25 Jan 20232 mins read
This article was originally published on 25 Jan 2023
બાળકોને સંપત્તિ નહિ, સંસ્કાર આપો                                                .

જયેન્દ્ર ગોકાણી

પરિવારોમાં બાળકોને સારા સંસ્કારો નથી મળતા એના કારણે આજે પરિવારોની દુર્દશા થઈ છે. આજે કુટુંબીજનોમાં આત્મીયતાનો અભાવ છે. પરિવારોમાં કજિયાકંકાશ થતા રહે છે અને પરિવારો તૂટી જાય છે. આજે લગભગ બધાની પાસે ફોન હોય છે. તેઓ પોતાના ફોનનું જેટલું ધ્યાન રાખે છે એટલું ધ્યાન કુટુંબના સભ્યોનું રાખતા નથી. પહેલા દરેક ઘરમાં ફક્ત એક જ ફોન રહેતો એની પર ઘરના બધા સભ્યો વાતચીત કરતા હતા, પરંતુ આજે જ્યારે દરેક વ્યક્તિ પાસે ફોન હોય છે. પરંતુ તેમને એકબીજા સાથે વાતચીત કરવાની ફુરસદ નથી.

આપણા સમાજની એક વિડંબના છે કે જે માતાપિતા પોતાનાં બાળકોને ખૂબ લાડપ્યાર કરીને ઉછેરે છે. પરંતુ પછી તે બાળકો મોટા થઈને પોતાનાં વૃધ્ધ માતાપિતાને સન્માન આપતા નથી.

માણસને પાછલી જિંદગીમાં પોતાનાં સંતાનો સાથે રહેવાની ઇચ્છા હોય છે પરંતુ આજના સંવેદનહીન પુત્રો પોતાનાં વૃધ્ધ મા બાપને પોતાની સાથે રાખવા ઇચ્છતા નથી. સમાજમાં આવાં ઘણાં ઉદાહરણો આપણને જોવા મળે છે, જે જોઈને આપણું દિલ કકળી ઉઠે છે. સન ૨૦૧૭ની એક ઘટના છે. મુંબઈના ઓશિવરા વિસ્તારના એક આલિશાન ફલેટમાં ૬૩ વર્ષની એક સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું. ચાર મહિના સુધી કોઈને તેની ખબર પણ ના પડી. તેનો પુત્ર અમેરિકામાં રહેતો હતો. લગભગ એક વર્ષ પછી તે જ્યારે અમેરિકાથી મુંબઈ પોતાને ઘેર પાછો ફર્યો ત્યારે તેને ઘરમાંથી પોતાની માતાનું હાડપિંજર મળ્યું. આ ઘટનાએ લોકોને અત્યંત આધાત પહોચાડયો. આજે આપણે કેવા સમાજમાં જીવીએ છીએ જેમાં કોઈ પડોશી પણ આપણી ખબર લેતો નથી.

આજે દિવસે દિવસે આપણી બધી જ બાબતોમાં ઉન્નતિ કરી રહ્યા છીએ. દરરોજ નવી નવી શોધો થાય છે. પરંતુ બીજી બાજુ કૌટુંબિક દૃષ્ટિએ આપણે એકલા થતા જઈએ છીએ.

આજકાલની યુવાપેઢી પોતાના વૃધ્ધમાતાપિતાનું સહેજ પણ ધ્યાન રાખતી નથી. પહેલા જ્યારે સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યારે વૃધ્ધોને ખૂબ આદર સન્માન આપવામાં આવતું હતું. પરંતુ આજે કુટુંબો તૂટી રહ્યા છે. એના લીધે માણસ એકલવાયો થઈ ગયો છે. લોકોનાં અંતર વચ્ચેનું અંતર વધી રહ્યું છે. દુનિયાની ભીડમાં આજનો માણસ ખોવાઈ જાય છે કે તે પોતાનાં સ્વજનોને જ ભૂલી જાય છે.

આજે આપણા વડીલો સાથે જે થઈ રહ્યું છે. તે કાલે આપણી સાથે પણ થઈ શક્શે કારણકે આપણાં સંતાનોને જો શ્રેષ્ઠ સંસ્કાર નહિ આપ્યા હોય તો તેઓ આપણી સાથે તેવું જ વર્તન કરશે. એટલે જ શ્રી રામ શર્મા આચાર્ય એ કીધું કે-' સંતાનોને વારસામાં સંપતિ જ નહિ પણ શ્રેષ્ઠ સંસ્કાર પણ આપો. આથી આપણે ફરીથી આપણી ઋષિપરંપરાનું અનુસરણ કરવું પડશે. ઘરના બધા સભ્યોમાં સહનશીલતા તથા આત્મીયતાના ગુણો કેળવવા અનિવાર્ય છે. જો કુટુંબમાં સંપ અને સહકારની ભાવના હોય તો જ પરિવાર પ્રગતિ કરી શકે છે અને એક રહી શકે છે.

આપણે આપણાં બાળકોને શિક્ષણ, સ્વાવલંબી તથા સારાં સંસ્કારોનો વારસો આપવો જોઈએ.