Gujarat

ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ, કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે : કોંગ્રેસ

By GS Team
21 Dec 20232 mins read
This article was originally published on 21 Dec 2023
ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ, કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે : કોંગ્રેસ

- પક્ષ પલ્ટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે : અમિત ચાવડા

- એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્છ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ

સુરત,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર

સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એક વાર કોંગ્રેસ દ્વારા વહિવટી તંત્ર અને સરકાર સામે આક્ષેપ કર્યા છે, કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ, કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે તેથી ઉચ્છ અધિકારીનો સમાવેશ કરવો જોઈએ તેવી પણ માગણી કરી છે. 

કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી જઈ રહ્યાં છે તેઓને સામ-દામ, દંડ-ભેદની નીતિ થી તોડવામાં આવી રહ્યાં છે. જોકે, પક્ષ પલ્ટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકરો જવાબ આપશે. આ ઉપરાંત 2024માં ગુજરાત જ નહી પરંતુ ભારતની પ્રજા પરિવર્તન લાવશે એવો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, સુરતમાં એથર કેમિકલમાં જે દુર્ઘટના બની હતી તે ગંભીર બેદરકારી છે. ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ, કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે. સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબી દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી. તેના કારણે આવા અકસ્માત થાય છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં હપ્તા ખોરી થાય છે અને ચેકીંગના નામે પોલમપોલ થઈ રહી છે અને અકસ્માત સતત થઈ રહ્યાં છે અને કારીગરો અકસ્માતે મરતા નથી પરંતુ તેઓના હત્યા થઈ રહી છે. એથર દુર્ઘટનામાં જેમની સામે આરોપ છે તેવા લોકો જ સીટમાં તપાસ કરવામાં આવી રહી છે. જેના કારણે સીટમાં જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે. 

ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે અંગે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, ભાજપે 156 બેઠક પર ભાજપ જીત્યું છે પરંતુ તેઓ લોકોના કામ કરવાના બદલે જુમલા કરી રહ્યાં છે અને પ્રજા સામે જઈ શકતા નથી. જેના કારણે તેઓ સામ દામ દંડ ભેદ થી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના કાર્યકરો અને પ્રજા તેઓને જવાબ આપશે. આ ઉપરાંત 2024માં ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો.