શંકર મહાદેવનનો સૂર : હિન્દુસ્તાની સંગીતના સૂર સમગ્ર વિશ્વમાં રેલાઈ રહ્યા છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીને પ્રતાપે ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ એકલી સંગીતનું સર્જન કરી શકશે. સાથોસાથ સંગીતના સામૂહિક સૂર પણ વહાવી શકશે.'
૨૦ ૨૬ની ૨૧,જૂને વર્લ્ડ મ્યુઝિક ડે
(વિશ્વ સંગીત દિન) ની સમગ્ર વિશ્વમાં સૂરીલી ઉજવણી થઇ હતી. આ મજેદાર દિવસે હિન્દી ફિલ્મ જગતના પ્રતિભાશાળી ગાયક અને સંગીત નિર્દેશક શંકર મહાદેવને ભારતીય ફિલ્મ જગતનાં તમામ સાજીંદાઓને ખુશાલીભર્યા અભિનંદન આપ્યાં હતાં.
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અચ્છા ગાયક અને શંકર -અહેસાન- લોય ના નામની મ્યુઝીક ડાયરેક્ટર ત્રિપુટીના શંકર ભરપૂર આનંદ અને સંતોષ વ્યક્ત કરતાં કહે છે, ભારતીય મ્યુઝિસિયન્સ (સાજીંદા) ખરેખર બહુ પ્રતિભાશાળી અને મહેનતુ છે. આપણા સંતુર વાદકો, સિતાર વાદકો, તબલાં--ઢોલક વાદકો, વાયોલીન વાદકો થી લઇને કી બોર્ડ વાદકો આજે નવા યુગની આધુનિક ટેકનોલોજીની મદદથી સમગ્ર વિશ્વના જુદા જુદા દેશના સંગીત સાથે જોડાઇ શકે છે.
સાથોસાથ આપણા સાજીંદા વૈશ્વિક મંચ પર પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. ગૌરવ અને આનંદની બાબત તો એ છે કે આપણા મ્યુઝિસિયન્સ આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુસ્તાની સંગીતને અને મીઠી મધુરી રચનાઓનો પરિચય પણ કરાવી રહ્યા છે. મજેદાર બાબત તો એ પણ છે કે સંગીતપ્રેમીઓ આજના આધુનિક યુગની ઇન્ટરનેટની સુવિધાથી હિન્દુસ્તાની સહિત વિશ્વના જુદા જુદા દેશના સંગીતનો આનંદ પણ માણી શકે છે.
ખાસ કરીને ભારતના સાજીંદા સમગ્ર વિશ્વના સંગીતપ્રેમીઓને આપણાં શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગ-રાગિણીઓ અને તેના આધારે બનેલી યાદગાર રચનાઓ સહિત ઠુમરી, ભજન, કીર્તન,લોકગીતો, ગઝલ, ફિલ્મી ગીતો વગેરેના અમર વારસાનો પણ પરિચય કરાવી રહ્યા છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો ઇતિહાસ કેટલો સમૃદ્ધ, વિશાળ, અમર, યાદગાર, મીઠો -મધુરો છે તેની રજૂઆત કરી રહ્યા છે. સમજ પણ આપી રહ્યા છે.
ખુશીની બાબતએ છે કે આજના સાયન્સ અને ટેકનોલોજીના અત્યાધુનિક જમાનામાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઇલ ફોન હોય છે. બસ, મોબાઇલ ઓન કરો અને હિન્દુસ્તાની સંગીતનો ભરપૂર આનંદ માણી શકો છો. ભલેપછી તે સંગીતપ્રેમી ભારતનો હોય કે બ્રિટનનો, જાપાનનો હોય કે સ્પેનનો. ઉપરાંત, હવે તો આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ની આધુનિક ટેકનોલોજી દ્વારા પણ સંગીતની રચના કરી શકો છો. અમે અમારા શક્તિ બેન્ડમાં આવા વિવિધ પ્રયોગો કરી રહ્યા છીએ.
શંકર મહાદેવને તેના બહોળા અનુભવના આધારે એવો સંકેત પણ આપ્યો છે કે હવે ભવિષ્યમાં કોઇપણ વ્યક્તિ પોતે એકલો સંગીત રચના કરી શકશે. સાથોસાથ સંગીતના સૂરને સમુહમાં પણ વહાવી શકશે.
આમ છતાં શંકર મહાદેવને એવો સૂર પણ વ્યક્ત કર્યો છે કે હાલના તબક્કે ફિલ્મ મ્યુઝિકમાં અમુક અંશે સર્જનાત્મકતા ઓછી થઇ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મ્યુઝિક ડાયરેક્ટરો કાં તો જૂન ફિલ્મોનાં મીઠાં -મધુરાં અને રિધમવાળાં ગીતોનો ઉપયોગ કરી રહ્યા છે. હું પોતે અંગત રીતે ઇચ્છું છું કે નવી પેઢીના સંગીત નિર્દેશકો તેમની પ્રતિભાથી નવું, મજેદાર, મીઠું સર્જન કરે. ફિલ્મ પ્રેમીઓ તેમની રચનાઓનો આનંદ માણે એવી આશા રાખું છું.
હા, આજની નવી પેઢીના મ્યુઝિમ ડાયરેક્ટરો પાસે ભરપૂર માહિતી હોય છે. ભારતમાં અને વિશ્વના દેશોમાં સંગીતના ક્ષેત્રમાં શું શું નવું અને ગમતીલું થઇ રહ્યું છે તેનાથી તેઓ બરાબર વાકેફ હોય છે. સાથોસાથ, તેઓ આજની ઉગતી અને ભણેલી પેઢીનાં દર્શકોની પસંદને પણ બરાબર જાણે છે, સમજે છે. ખરું કહું તો મારા બંનેપુત્ર સિદ્ધાર્થ અને શિવમ મારી પાસેથી અને હું તેમની પાસેથી, એમ એકબીજાં પાસેથી ઘણું ઘણું શીખીએ છીએ.









