Business

'ગ્લોબલ ઈકોનોમી ક્રેશ થઇ રહી છે...', રોબર્ટ કિયોસાકીએ કહ્યું - પહેલા જ કરી હતી ભવિષ્યવાણી

By GS Team
23 Jul 20262 mins read
TukuTouch Logo
'રિચ ડૅડ પુઅર ડૅડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક અર્થતંત્રના પતનની ચેતવણી આપી છે. તેમણે X પર જણાવ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે પતનના આરે છે. કિયોસાકીએ રોકાણકારોને સોના-ચાંદી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને આર્થિક સંકટનો સામનો કરવાની સલાહ આપી છે. તેમની આ પોસ્ટને 4 લાખથી વધુ વ્યુઝ મળ્યા છે, જે વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગ્લોબલ ઈકોનોમી ક્રેશ થઇ રહી છે...', રોબર્ટ કિયોસાકીએ કહ્યું - પહેલા જ કરી હતી ભવિષ્યવાણી

Prepare Now, Wealth Follows: વિશ્વભરમાં મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે વૈશ્વિક તણાવ ચરમસીમાએ છે, કાચા તેલના ભાવમાં સતત વધારો થવાથી ફુગાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે અને શેરબજારોમાં ભારે અસ્થિરતાનો માહોલ છે. આ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓ વચ્ચે વિશ્વ વિખ્યાત પુસ્તક 'રિચ ડૅડ પુઅર ડૅડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક અર્થતંત્રને લઈને ફરી એકવાર અત્યંત ડરામણી ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની એક લેટેસ્ટ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે વૈશ્વિક અર્થતંત્ર સંપૂર્ણપણે ક્રેશ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો છે.

રોબર્ટ કિયોસાકીએ આ વાયરલ પોસ્ટમાં લખ્યું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યારે પતનના આરે છે. મેં મારા પુસ્તક 'રિચ ડૅડ્સ પ્રોફેસી'માં આ ભયંકર ક્રેશ વિશે ખૂબ જ પહેલાં ભવિષ્યવાણી કરી દીધી હતી. જે લોકોએ તે પુસ્તકમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા અને સલાહનું પાલન કર્યું હતું, તેઓ આજે આ કપરા સમયમાં પણ સુરક્ષિત અને ઠીક છે.

'હજુ પણ ઘણું મોડું થયું નથી…'

પોતાની પોસ્ટમાં કિયોસાકીએ રોકાણકારો અને સામાન્ય લોકોને હિંમત આપતા મહત્ત્વની સલાહ આપી છે કે, આ આર્થિક સંકટ વચ્ચે પણ પોતાની રણનીતિ બદલવામાં હજુ બહુ મોડું થયું નથી. તેમના મતે, દરેક મોટા આર્થિક ક્રેશ દરમિયાન જ્યાં લાખો લોકો બરબાદ થઈ જાય છે, ત્યાં જ કેટલાક એવા પણ ચતુર લોકો હોય છે જેઓ યોગ્ય રોકાણ કરીને પહેલા કરતાં પણ વધુ અમીર બને છે. કિયોસાકીએ ઉમેર્યું કે,

"હું ઈચ્છું છું કે તમે પણ એવા લોકોની યાદીમાં સામેલ થાઓ જેઓ આ ક્રેશ પછી વધુ સમૃદ્ધ અને અમીર બને."

અમીર બનવા માટે કિયોસાકીની રોકાણ ફોર્મ્યુલા

રોબર્ટ કિયોસાકી અગાઉ પણ ઘણી વખત આવી ગ્લોબલ ક્રેશ ચેતવણીઓ આપી ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર તેમના 2.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તેઓ સતત રોકાણ અંગે ટિપ્સ આપતા રહે છે. જો તેમની અગાઉની પોસ્ટ્સ પર નજર કરીએ તો, તેઓ આવી કટોકટીમાં બચવા અને અમીર બનવા માટે સોના-ચાંદી તેમજ ક્રિપ્ટોકરન્સીને શ્રેષ્ઠ માધ્યમ ગણાવે છે.

  • સોના-ચાંદીમાં રોકાણ: ગત મે મહિનામાં પણ કિયોસાકીએ જણાવ્યું હતું કે મુશ્કેલીના સમયમાં સોનું અને ચાંદી જ સાચો સહારો બને છે. તેમણે એક નિષ્ણાતના અંદાજનો હવાલો આપીને દાવો કર્યો હતો કે આગામી સમયમાં સોનાની કિંમત 100,000 ડોલર (આશરે 95 લાખ રૂપિયાથી વધુ) સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદી માટે તેમણે 200 ડોલરનો ટાર્ગેટ આપ્યો છે.
  • ક્રિપ્ટોકરન્સી પર ભાર: સોના-ચાંદી સિવાય કિયોસાકી ક્રિપ્ટો એસેટ્સના પણ મોટા સમર્થક છે. તેઓ ખાસ કરીને લોકોને બિટકોઈન અને ઈથેરિયમ જેવા ડિજિટલ કોઈન્સમાં નાણાં રોકવાની સલાહ આપે છે.

રોબર્ટ કિયોસાકીની આ લેટેસ્ટ પોસ્ટને ગણતરીના કલાકોમાં જ 4 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને સમગ્ર બિઝનેસ જગતમાં તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.