SEBIનો મોટો નિર્ણય: Zeeના પૂર્વ ચેરમેન સુભાષ ચંદ્રા અને પૂર્વ CEO પુનિત ગોએન્કા પર 1 વર્ષનો બેન, લાખોનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SEBI bars former Zee executives Subhash Chandra, Punit Goenka from securities market for 1 year : ભારતીય શેરબજારની નિયામક સંસ્થા સેબીએ શુક્રવારે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના પૂર્વ ચેરમેન સુભાષ ચંદ્રા અને પૂર્વ સીઈઓ પુનિત ગોએન્કા સામે આકરો નિર્ણય લીધો છે. સેબીએ બંનેને 1 વર્ષ માટે શેરબજારમાંથી પ્રતિબંધિત કરી દીધા છે.
આ સાથે જ સેબીએ ઝી એન્ટરટેઇન્મેન્ટ કંપનીને પણ 2 મહિના માટે શેરબજારમાંથી બેન કરી દીધી છે અને બંને પૂર્વ એક્ઝિક્યુટિવ્સ તથા કંપની પર કુલ 1.48 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે.
હૈદરાબાદની જમીનનો સમગ્ર મામલો
IHFL પાસેથી પ્રમોટર-સંબંધિત 4 કંપનીઓએ ₹726 કરોડની વિશાળ લોન લીધી હતી. આ લોનની સિક્યોરિટી તરીકે ZEEL (ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ)ની હૈદરાબાદની જમીન ગીરવે મૂકી દેવામાં આવી હતી. ZEEL કંપની પોતે આ લોનમાં કોઈ ધિરાણકર્તા નહોતી કે તેને આ લોનની રકમમાંથી એક રૂપિયો પણ મળ્યો નહોતો, છતાં કંપનીની કિંમતી જમીન જોખમમાં મૂકવામાં આવી હતી. સેબીના અધિકારીએ આ બાબતે ઊંડી તપાસ કરી અને તારણ કાઢ્યું કે આ સમગ્ર પ્રક્રિયા પબ્લિક લિસ્ટિંગ કંપનીના ડિરેક્ટર્સ માટે જરૂરી નૈતિક માનકો અને પારદર્શિતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
કંપનીના ઓડિટ કમિટી કે બોર્ડની મંજૂરી નહોતી લેવાઈ
સેબીના આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 27 ડિસેમ્બર 2018ના રોજ ZEELના નામે એક 'ડિક્લેરેશન એન્ડ એકનોલેજમેન્ટ' દસ્તાવેજ બનાવવામાં આવ્યો હતો, જેના પર તત્કાલીન ચેરમેનની સહી હતી. આ દસ્તાવેજમાં એવો ખોટો દાવો કરાયો હતો કે જમીન સિક્યોરિટી તરીકે મૂકવા માટે તમામ જરૂરી કોર્પોરેટ મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. તપાસ અધિકારી મુરુગને આરોપીઓનો એ બચાવ ફગાવી દીધો હતો કે આ દસ્તાવેજ અનરજિસ્ટર્ડ હતો તેથી તેનું કોઈ કાયદાકીય મૂલ્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે દસ્તાવેજનું રજિસ્ટ્રેશન ન થયું હોય તો પણ તેના દ્વારા કંપનીની મિલકતનો દુરુપયોગ કરવાનો પ્રયાસ અને જોખમ ઊભું કરવાની દાનત સાબિત થાય છે.
સેબીએ ફટકાર્યો રૂ. 1.48 કરોડનો દંડ
પૂર્વ એક્ઝિક્યુટિવ્સે એવી દલીલ કરી હતી કે કંપનીએ પાછળથી પોતાના જમીનના દસ્તાવેજો પાછા મેળવી લીધા હતા અને આ જમીન પાછળથી નફા સાથે વેચવામાં આવી હતી, જેથી કંપની કે રોકાણકારોને કોઈ આર્થિક નુકસાન થયું નથી. પરંતુ સેબીએ આ દલીલને ફગાવી દેતાં કહ્યું કે સિક્યોરિટીઝ રેગ્યુલેશનનો મુખ્ય હેતુ માત્ર નફા-નુકસાનનો નથી, પરંતુ યોગ્ય ગવર્નન્સ, પારદર્શિતા અને હિતોના સંઘર્ષને રોકવાનો છે.
કોને કેટલો દંડ?
- સુભાષ ચંદ્રા (પૂર્વ ચેરમેન): ₹60 લાખ
- પુનિત ગોએન્કા (પૂર્વ CEO): ₹58 લાખ
- ZEEL (કંપની): ₹30 લાખ




