Business

કઠોળની આયાત પર મૂકેલા પ્રતિબંધ હળવા અથવા દૂર કરવા માગ કરાઈ

By GS Team
10 Jan 20202 mins read
This article was originally published on 10 Jan 2020
કઠોળની આયાત પર મૂકેલા પ્રતિબંધ હળવા અથવા દૂર કરવા માગ કરાઈ

મુંબઇ,  તા. 10 જાન્યુઆરી, 2020, શુક્રવાર

કઠોળની આયાત પર મૂકેલા પ્રતિબંધ દૂર અથવા હળવા કરવાની માગણી ઇન્ડિયન પલ્સ એન્ડ ગ્રેન એસોસિયેશને (આઇપીજીએ) કરી હતી. એસોસીએશને કહ્યું હતું કે ભારે અને લંબાયેલા વરસાદ તથા પૂરને કારણે ખરીફ સીઝનના પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે કઠોળનું ઉત્પાદન ઓછું થયું છે. 

વરસાદને કારણે તુવેરના પાકને ઝાઝી અસર નથી થઈ, પણ આ વરસે અડદ અને મગનું ઉત્પાદન અનુક્રમે ૫૦થી ૩૦ ટકા ઓછું રહેશે. તુવેરનું ઉત્પાદન આ વરસે આશરે ૩૫.૪ લાખ ટનની આસપાસ રહેશે , જ્યારે અડદ અને મગનું સંયુક્ત ઉત્પાદન ૩૮.૫ લાખ ટન થશે. જે ગયા વરસે ૫૬.૧ લાખ ટન હતું. 

આઇપીજીએના પદાધિકારીએ રજૂઆત કરતા કહ્યું કે તાજેતરમાં દૂધ, ખાદ્યતેલ અને અનાજની કિંમતો ઉપર ગઈ છે અને ગૃહિણીઓનું બજેટ ઓલરેડી ખોરવાઈ ગયું છે. આવામાં સરકારકઠોળની આયાત પર જથ્થાને અનુસાર અંકુશ મૂકશે, ઇમ્પોર્ટ ડયુટી ઓછી નહીં કરે તો વિવિધ કઠોળના ભાવ  કિલોદીઠ૩૫૦ને પાર બોલાશે. દેશમાં કઠોળની અછત જોતા સરકારે કોઈ પણ જાતના નિયંત્રણ વિના કઠોળની આયાત કરવાથી પરવાનગી આપવી જોઈએ. 

વર્તમાન નાણાકીય વરસમાં નવેમ્બર સુધી સરકારે ૨૧.૪ લાખ ટન કઠોળ આયાત કર્યા છે. આ જ વરસમાં વધુ આઠ-નવ લાખ ટન કઠોળ આયાત કરવા પડશે.

વિવિધ કઠોળમાં વટાણા માટે સરકારે કોઈ ફલોર  પ્રાઇસ નથી રાખી. દેશમાં વટાણાની કુલ ખપત ૧૫ લાખ ટન છે, પણ ઉત્પાદન માગ કરતા ઘણું ઓછું છે, કારણ કે વટામા માટે કોઈ લઘુતમ ટેકાના ભાવ નક્કી નથી કરાતા. જેને કારણે પીળા વટાણાની આયાત વધારવાની જરૂર છે, પરંતુ સરકારે માગ ૧.૫ લાખ ટન પીળા વટાણાની આયાત કરવાની પરવાનગી આપી છે. દેશની ભંડોળમાં કઠોળ ઉદ્યોગનો ફાળો ૫૦ બિલિયન ડોલર છે અને સહકાર ઉદ્યોગને મદદ કરે તો આગામી પાંચ-દસ વરસમાં આ આંકડો ૧૦૦ બિલિયન ડોલરને આંબી શકે છે.