વિદેશી થાપણો માટે ફોરેક્સ સ્વોપ મુદ્દતથી વહેલી બંધ કરવાનો RBIનો નિર્ણય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

FCNR (બી) થાપણો થકી ૫૨.૩૦ અબજ ડોલર બેંકોએ ફંડ મેળવ્યું
મુંબઈ : બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈઝ) પાસેથી એક્ત્ર કરાયેલી થાપણો દ્વારા મજબૂત વિદેશી ચલણ પ્રવાહને આકર્ષિત કર્યા પછી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બેંકો માટે તેની ડિસ્કાઉન્ટેડ ફોરેક્સ સ્વોપ સુવિધા નિર્ધારિત મુદ્દત કરતાં એક મહિના વહેલા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સુધારેલી સમયરેખા હેઠળ, બેંકો હવે ૩૧, ઓગસ્ટ સુધી એક્ત્ર કરાયેલી વિદેશી ચલણ થાપણો માટે શૂન્ય-ખર્ચ હેજિંગ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. શુક્રવારે જારી કરાયેલ આરબીઆઈના નિવેદન અનુસાર, અગાઉની સમયમર્યાદા ૩૦, સપ્ટેમ્બર હતી.
ફોરેક્સ સ્વોપ સુવિધા જૂનમાં રિઝર્વ બેંક દ્વારા ભારતના ચૂકવણી સંતુલનને મજબૂત બનાવવા અને વિદેશી હૂંડિયામણના પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલા પગલાંની શ્રેણીનો એક ભાગ હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે, આ નિર્ણય એફસીએનઆર(બી) થાપણો માટે એક સ્વોપ સુવિધાને મળેલા પ્રોત્સાહક પ્રતિભાવ અને પરિણામે ફોરેક્સ પ્રવાહને આધારે લેવામાં આવ્યો હતો.
૮, જૂન અને ૧૩, ઓગસ્ટ દરમિયાન, બેંકોએ એફસીએનઆર(બી) થાપણો દ્વારા ૫૨.૩ અબજ ડોલર એકત્ર કર્યા હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું. આ પગલાંમાં સરકારી કંપનીઓ અને બેંકો દ્વારા વિદેશમાં ભંડોળ ઊભું કરવાને પ્રોત્સાહન આપવાના હેતુથી કન્સેશનલ હેજિંગ સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. એફસીએનઆર (બી) થાપણો ઉપરાંત, એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ માટે સ્વોપ સુવિધાઓ દ્વારા ૧.૭ અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા. જ્યારે ૨.૮ અબજ ડોલર અધિકૃત ધિરાણકર્તાઓ દ્વારા લેવામાં આવેલા ફોરેન કરન્સી બોરોઈંગ દ્વારા આવ્યા હતા. આરબીઆઈએ જણાવ્યું હતું કે, આ બે શ્રેણીના બોરોઈંગ માટેનો સમય વર્ષના અંત સુધી ખુલ્લો રહેવાનો હતો અને તે સમયમર્યાદા યથાવત રહેશે.









