Business

મુહુર્ત ટ્રેડિંગ: દિવાળીના દિવસે બજાર 10 વર્ષમાં 7 વાર નફાકારક, શું તેજી ચાલુ રહેશે?

By GS Team
24 Oct 20222 mins read
This article was originally published on 24 Oct 2022
મુહુર્ત ટ્રેડિંગ: દિવાળીના દિવસે બજાર 10 વર્ષમાં 7 વાર નફાકારક, શું તેજી ચાલુ રહેશે?

અમદાવાદ, તા. 24

ભારત સમગ્ર વિશ્વમાં આજે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે દિવાળીના અવસર પર દેશમાં ભારે ઉત્સાહ છે અને લોકો જોરદાર ખરીદી કરી રહ્યા છે. જો કે આજે શેરબજારમાં રજા છે, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગના રૂપમાં શેરબજારમાં એક કલાકનું ખાસ ટ્રેડિંગ સેશન યોજાશે. 

આજે મુહૂર્તનો વેપાર સાંજે 6.15 થી 7.15 સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે મુહૂર્ત વેપારમાં સોદો કરવો શુભ છે. મુહૂર્તના વેપારમાં શેર ખરીદવાથી સમૃદ્ધિ આવે છે. આ જ કારણ છે કે લગભગ દરેક રોકાણકાર આ દિવસે શેર ખરીદે છે. છેલ્લા 4 વર્ષથી સતત મુહૂર્તના દિવસે શેરબજાર વધારા સાથે બંધ રહ્યું છે. ગયા વર્ષે 2021માં સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 0.5 ટકાના વધારા સાથે બંધ થયા હતા. આ વખતે પણ રોકાણકારોને આશા છે કે બજારમાં તેજી જળવાઈ રહેશે.

કેવી રહેશે બજારની ચાલ ?

એક અહેવાલ મુજબ, દૈનિક સમયમર્યાદા પર, નિફ્ટીએ અપર બેલિંગર બેન્ડ નજીક સ્પિનિંગ ટોપ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે. આ ઇન્ડેક્સમાં દિશાસૂચકતાની નિશાની છે. મોમેન્ટમ ઈન્ડિકેટર RSI પણ 55ની ઉપર જોવા મળે છે. તે પણ ઝડપી બની રહ્યું છે. આ ઇન્ડેક્સમાં અપટ્રેન્ડના સંકેતો છે. ચાર્ટ પેટર્ન અને સૂચક સેટઅપ સૂચવે છે કે નિફ્ટી ટૂંકાથી મધ્યમ ગાળામાં 17770 અને પછી 17919ના સ્તરે પહોંચી શકે છે.

સમજદારીપૂર્વક રોકાણ કરો

જાણકારનાં મત અનુસાર બજારમાં રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક છે અને વિવિધ ક્ષેત્રોમાં ખરીદી થઈ રહી છે. દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ સત્ર માત્ર એક કલાક માટે છે, તેથી નવા વેપારીઓએ આ સમય દરમિયાન સાવચેત રહેવું જોઈએ.

શેરબજાર છેલ્લા 6 દિવસથી તેજી સાથે બંધ થઈ રહ્યું છે. છેલ્લા કારોબારી દિવસે 21 ઓક્ટોબરે સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે 59307 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી પણ 17576 ના સ્તર પર વધારા સાથે બંધ રહ્યો હતો. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે નિફ્ટી માટે 17500-17400 પર સારો સપોર્ટ છે.