દેશમાં ખાંડની અછત? અચાનક ભાવમાં થયો વધારો, AISTAએ કરી સ્પષ્ટતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sugar Price Hike : છેલ્લા એક મહિનામાં ફેક્ટરી સ્તરે ખાંડની કિંમતોમાં અંદાજે 15%નો વધારો થતાં બજારમાં અછત સર્જાવાની આશંકાઓ ઊભી થઈ હતી. જોકે, ઓલ ઈન્ડિયા શુગર ટ્રેડ એસોસિએશન (AISTA)એ સ્પષ્ટતા કરી છે કે આ અફવાઓ નિરાધાર છે. દેશમાં સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.
સભ્યો અને વેપારીઓને ગભરાટથી દૂર રહેવા અપીલ
AISTAએ પોતાના 700થી વધુ સંબંધિત સભ્યો અને સંગઠનોને સંદેશ મોકલીને જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ કમી નથી. ભારતીય શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) અને નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ શુગર ફેક્ટરીઝ (NFCSF) દ્વારા પણ પૂરતો જથ્થો હોવાની પુષ્ટિ કરાઈ છે. આ ઉપરાંત 2026-27ની પિલાણ સીઝન પણ વહેલી શરૂ કરવા સહમતિ સધાઈ છે.
કિંમતોમાં ઉછાળાથી અછતની ખોટી ભ્રમણા ઊભી થઈ
AISTAના ચેરમેન પ્રફુલ્લ વિઠલાણીએ જણાવ્યું કે 'તાજેતરમાં ભાવ વધવાના કારણે બજારમાં અછતની બિનજરૂરી ભ્રમણા ઊભી થઈ છે.' તેમણે ખાંડ મિલો, હોલસેલ વેપારીઓ, ડિસ્ટ્રીબ્યુટર્સ અને ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ સંગ્રહખોરી કે પેનિક બાયિંગથી દૂર રહે અને દેશભરમાં સરળ પુરવઠો જાળવી રાખવામાં મદદ કરે.
અફવાઓ અને સંગ્રહખોરી રોકવા સૂચના
સંગઠને તમામ પક્ષોને સટ્ટાખોરી કરવા કે ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે. સાથે જ આગામી સમયમાં હવામાન અનુકૂળ રહેતાં શેરડીની કાપણી અને પિલાણ કામગીરી વિના કોઈ અડચણે ચાલુ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.









