India Aviation Rules: ભારત સરકારના સિવિલ એવિએશન મંત્રાલયે હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા ફ્લાઇટમાં સીટ પસંદ કરવા માટે લેવાતા વધારાના ચાર્જ પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. નવા નિર્દેશ મુજબ, હવે એરલાઇન્સ કંપનીઓએ કોઈપણ ફ્લાઇટની કુલ સીટોમાંથી ઓછામાં ઓછી 60% સીટ મુસાફરો માટે કોઈ પણ વધારાના શુલ્ક વગર ઉપલબ્ધ કરાવવી પડશે. આ મહત્ત્વના પગલાને કારણે વેબ ચેક-ઇન કે સીટ સિલેક્શન વખતે મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા હિડન ચાર્જ નાબૂદ થશે અને મુસાફરી વધુ સસ્તી અને સુવિધાજનક બનશે.
એક જ PNR પર મુસાફરી કરતાં મુસાફરોને હવે સાથે બેસવાની સુવિધા મળશે
સરકારના નવા આદેશ મુજબ, હવે એરલાઇન્સે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે એક જ PNR પર મુસાફરી કરતાં મુસાફરોને સાથે અથવા આસપાસની સીટો જ મળે. આનાથી તે પરિવારો અને ગ્રૂપમાં મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે, જેમને અત્યાર સુધી સાથે બેસવા માટે વધારાના પૈસા ચૂકવવા પડતા હતા. આ ઉપરાંત, મંત્રાલયે એરલાઇન્સને રમતગમતના સાધનો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને પાલતુ પ્રાણીઓને લઈ જવા માટેની નીતિઓ પણ વધુ પારદર્શક અને મુસાફરોને અનુકૂળ બનાવવા જણાવ્યું છે.
વેબસાઇટ અને ઍરપૉર્ટ પર હવે પ્રાદેશિક ભાષાઓમાં મળશે માહિતી
મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપતા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ફ્લાઇટ મોડી પડે અથવા રદ થાય તેવા સંજોગોમાં મુસાફરોના અધિકારોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. એરલાઇન્સે આ અધિકારોની માહિતી પોતાની વેબસાઇટ અને ઍરપૉર્ટ કાઉન્ટર પર પ્રાદેશિક ભાષાઓમાં પણ આપવી પડશે. ભારતનું ડોમેસ્ટિક એવિએશન સેક્ટર દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું હોવાથી, સરકાર 'ઉડાન યાત્રી કેફે' અને ફ્રી વાઇ-ફાઇ જેવી સુવિધાઓ દ્વારા હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સરળ બનાવવા પર ભાર મૂકી રહી છે.


