Business

વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ બંધ કરતી કંપનીઓમાંથી કર્મચારીઓના રાજીનામાની માત્રા પ્રમાણમાં વધુ

By GS Team
20 Oct 20222 mins read
This article was originally published on 20 Oct 2022
વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ બંધ કરતી કંપનીઓમાંથી કર્મચારીઓના રાજીનામાની માત્રા પ્રમાણમાં વધુ

મુંબઈ : વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ બંધ કરી રહેલી કંપનીઓમાંથી કર્મચારીઓના રાજીનામા વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે. દૂરથી કામ કરવાની પદ્ધતિ બંધ કરનારી કંપનીઓમાં ઓગસ્ટમાં કર્મચારીઓની અવરજવરની ટકાવારી ૨૯ ટકા હતી જ્યારે જે કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ આથવા હાયબ્રિડ વર્ક મોડેલ ચાલુ રાખ્યું છે તેમાંથી કર્મચારીઓની નોકરી બદલવાની ટકાવારી ૧૯ ટકા રહી હોવાનું એક સર્વે રિપોર્ટમાં જણાયું હતું.

એક ખાનગી રિસર્ચ પેઢી દ્વારા હાથ ધરાયેલા ૭૦૦ કંપનીના સર્વેમાં માત્ર નવ ટકા કંપનીઓએ સંપૂર્ણ રીતે વર્ક ફ્રોમ પદ્ધતિ ચાલુ રાખ્યાનું જણાયું છે. જાન્યુઆરીમાં આ દર ૩૮ ટકા હતો. ૯૦ ટકાથી વધુ કંપનીઓએ ઓફિસેથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. 

જે કંપનીઓએ વર્ક ફ્રોમ પદ્ધતિનો અંત લાવી દીધો છે, ત્યાં કર્મચારીઓના છૂટા થવાના ઊંચા દર તેઓ ઘરેથી કામ કરવાની પદ્ધતિને વધુ પસંદ કરતા હોવાના સંકેત આપે છે. 

કેટલીક કંપનીઓએ હાયબ્રિડ પદ્ધતિ અપવાની છે, જેમાં કર્મચારીઓને ઘરેથી અથવા ઓફિસેથી કામ કરવાના વિકલ્પ આપવામાં આવે છે. કેટલીક કંપનીઓ કર્મચારીઓને સપ્તાહમાં બેથી ત્રણ વખત જ ઓફિસમાં બોલાવે છે, અને બાકીના દિવસોએ ઘરેથી કામ લેવામાં આવે છે.

સેવા ક્ષેત્રની કંપનીઓ જેમાં ઓનલાઈન કામ કરવાનું રહે છે તેવી કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમ પદ્ધતિ હજુપણ ચાલુ રખાઈ છે. દરમિયાન અન્ય એક અહેવાલમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશની ટોચની આઈટી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીમાં વાર્ષિક ધોરણે ૨૫ ટકા ઘટાડો થયો છે. સંપૂર્ણ નાણાં વર્ષના અંતે ૫૦ ટકા ઘટાડો જોવા મળવાની ધારણાં રાખવામાં આવી રહી છે. 

ગયા નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં દેશની ચાર ટોચની આઈટી કંપનીઓમાં કર્મચારીઓની ભરતીનો આંક ૧૦૭૬૧૬ રહ્યો હતો જે વર્તમાન વર્ષના આ ગાળામાં ૮૧૭૦૦ જોવા મળ્યો છે.