તહેવારો સમયે સંગ્રહખોરી ડામવા ખાંડમાં સ્ટોક લિમિટ લાવવા વિચારણા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હાલમાં ખાંડના ભાવમાં જોવાયેલા નોંધપાત્ર ઉછાળાની સરકાર દ્વારા લેવાયેલી નોંધ
મુંબઈ : દેશમાં ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી આગામી તહેવારો દરમિયાન ખાંડની સંગ્રહખોરી અટકાવવાના ભાગરૂપ સ્ટોક લિમિટ દાખલ કરવા સરકાર વિચારી રહી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ખાંડના ભાવ છેલ્લા એક મહિનામાં ક્વિન્ટલ દીઠ રૂપિયા ૩૦૦ જેટલા વધી હાલમાં રૂપિયા ૪૫૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે. દેશના મુંબઈ, દિલ્હી જેવા મોટા શહેરોમાં ખાંડના રિટેલ ભાવ પ્રતિ કિલો રૂપિયા ૪૫થી ૫૦ પહોંચી ગયા છે.
જો કે ખાંડના ભાવમાં તાજેતરમાં આવેલા ઉછાળા પાછળ કોઈ સજ્જડ કારણ નહીં હોવાનું અને દેશમાં જરૂરિયાતને પૂરી કરી શકાય તેટલો ખાંડનો પૂરતો સ્ટોકસ છે, એમ ખાંડ ઉદ્યોગ દ્વારા તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ઈન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જિ મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈસ્મા) તથા નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેકટરીસ લિ. દ્વારા સંયુકત રીતે જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, કેન્દ્ર સાથેની ચર્ચા વિચારણામાં દેશમાં ખાંડનો પૂરવઠો સાનુકૂળ સ્થિતિમાં હોવાની ખાતરી થઈ હતી. ઘરઆંગણેની માગને પહોંચી વળવા પૂરતો સ્ટોકસ ઉપલબ્ધ છે.
નબળા ચોમાસાને કારણે ઓકટોબરથી શરૂ થતી ખાંડ મોસમના ઉત્પાદન પર અસર પડવાની ધારણાંએ ખાંડના ભાવમાં હાલમાં ઉછાળો જોવાયો છે.
જૂનમાં વરસાદની ૩૭ ટકા જેટલી ખાધ રહી હતી અને શેરડીના બે મોટા ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ ઓછો રહ્યો છે. જુલાઈમાં ચોમાસુ સક્રિય થયું છે તેમછતાં હજુપણ ખાધ જોવાઈ રહી છે.
ટ્રેડરો દ્વારા ગભરાટભરી ખરીદીની સ્થિતિમાં તહેવારો ટાણે ખાંડની અછત સર્જાવાનો પણ ભય રહેલો છે.









