Bhavnagar

બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પર જાહેર જનતા વચ્ચે મહિલાની ઢોર માર મારી કરપીણ હત્યા

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં ST બસ સ્ટેન્ડ પર ગુરુવારે બપોરે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ અન્ય યુવક સાથે સંબંધની શંકા રાખી પોતાની સાથે રહેતી કાજલબેનની જાહેરમાં હત્યા કરી. જેલમાંથી છૂટેલા ફૈઝલે કાજલને ટાઈલ્સ પર પટકી-પટકીને મારી નાખી. પોલીસે હત્યારાને ઝડપી લીધો, પરંતુ પોલીસ પોઈન્ટ નજીક બનેલી આ ઘટનાથી સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બસ સ્ટેન્ડના મુખ્ય ગેટ પર જાહેર જનતા વચ્ચે મહિલાની ઢોર માર મારી કરપીણ હત્યા

અન્ય યુવક સાથે સંબંધ હોવાની આંધળી શંકાએ શખ્સ ઉશ્કેરાયો

રીઢો ગુનેગાર 'જેલમાંથી છૂટીને' ફરી મહિલાનું લોહી પી ગયો, હત્યારાને પોલીસે ઝડપી લીધા

ભાવનગર -  શહેરની માધ્યમાં આવેલા એસટી બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પર ગુરુવારની ભાર બપોરે જેલની હવાનો અહેસાસ કરીને આવેલા રાક્ષસે યુવતી પર અન્ય યુવક સાથે સંબંધ હોવાની આંધળી શંકા રાખી આડેધડ માર માર મારી યુવતીની હત્યા કરી નાખી હતી.

શહેરના અતિ ધમધમતા અને ચોવીસે કલાક મુસાફરોથી ગુંજતા એસ.ટી. બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગુરુવારની ભરબપોરે કાયદાના રક્ષકો અને રક્ષણ આપતી સિસ્ટમના મોં પર તમાચો મારતી એક અત્યંત કરુણ અને કાળજું કંપાવી દે તેવી ઘટના આકાર પામી છે. પત્નીની જેમ સાથે રહેતા ૨૦ વર્ષના અસામાજિક તત્વ ફૈઝલ ઉર્ફે ખાટકી રફીકભાઇ લાખાણીએ પોતાની જ સાથી કાજલબેનને જાહેરમાં ટાઇલ્સ પર પટકી-પટકીને મરણતોલ માર મારી મોતને ઘાટ ઉતારી દીધી. પરંતુ, મોટી કરુણાંતિકાએ નથી કે એક અસહાય મહિલાની હત્યા થઈ,કરુણાંતિકા એ છે કે આ બધું એ જ જગ્યાએ બન્યું જ્યાં પોલીસ પોઇન્ટ હોવાનો અને સુરક્ષાનો દંભ આખો દિવસ પીરસાય છે!

એફ.આઈ.આર. ની વિગતો મુજબ, ૧૩ વર્ષ પહેલાં સંસાર અને દૂધપીતી બાળકીને છોડીને ફૂટપાથને જ પોતાનું સરનામું બનાવી ચૂકેલી કાજલ, છેલ્લા આઠ વર્ષથી વરતેજના ફૈઝલ સાથે બસ સ્ટેન્ડની ખુલ્લી જમીન પર રહેતી હતી. ફૈઝલ તાજેતરમાં જ જેલની હવાનો અહેસાસ કરીને બહાર આવ્યો હતો. જેલમાંથી આવતાની સાથે જ બાડી (રવિ ગોહેલ) સાથે સંબંધ હોવાના આંધળા વહેમમાં તેણે એસ.ટી. સ્ટેન્ડના ગેટ પર જ કાજલ પર રાક્ષસી જુલ્મ ગુજાર્યો. ગળા, મોં, પીઠ અને પડખામાં લાતો ઝીંકી, વાળ પકડીને જમીનની કડક ટાઇલ્સ સાથે માથું પટકી દીધું. કલાકો સુધી રક્તરંજિત નાટક ચાલતું રહ્યું અને કાયદાના હાથ ફક્ત ૧૦૮ ની ગાડી આવ્યા બાદ કાગળ પર એન્ટ્રી પાડવા પૂરતા જ લાંબા થયા! પોલીસતંત્ર માટે આ ઘટના માત્ર ધકલમ ૧૦૩(૧), ૧૧૫(૨), ૩૫૨ધ હેઠળ નોંધાયેલો એક આંકડો હોઈ શકે છે, પરંતુ સમાજ માટે આ એક જીવંત કરુણાંતિકા છે. ૭૦ વર્ષીય વૃદ્ધ વિધવા માતા ભાગુબેન બારૈયા કે જેઓ કુંભારવાડાની ઝૂંપડપટ્ટીમાં મજૂરી કરીને દીકરીના ૧૩ વર્ષના અનાથ પુત્રને ઉછેરી રહ્યા છે, તેમને આજે પી.એમ. રૃમની બહાર દીકરીની લાશ સ્વીકારવી પડી છે. ૧૩ વર્ષ અગાઉ વિખેરાયેલો પરિવાર અને ફૂટપાથ પર ભટકતું આશાહીન આયખું આખરે લોહીના ખાબોચિયામાં વિરામ પામ્યું.

ભાવનગરની નિલમબાગ પોલીસ ઘટનાના ૧૮ કલાક પછી ગુનો નોંધીને તપાસનો કાગળ દોડાવે છે. જે ગુનેગાર અગાઉ જેલમાં જઈ ચૂક્યો છે, જે એસ.ટી. સ્ટેન્ડની જમીન પર જાહેર ત્રાસ વર્તાવે છે, તે પોલીસના નાક નીચે ખુલ્લેઆમ ફરતો હતો. ભાવનગર પોલીસનું ધપ્રજા હિતાર્થેધનું સૂત્ર અહીં એસ.ટી. સ્ટેન્ડના પેવર બ્લોક્સ વચ્ચે લોહીથી ધોવાઈ ગયું છે. કાયદાનો ડર ગુનેગારોને છે કે સામાન્ય જનતાને એ પ્રશ્ન આજે દરેક ભાવનગરવાસી પૂછી રહ્યો છે.