આજે જન્માષ્ટમી, ગોહિલવાડ કૃષ્ણમય બની કનૈયાના જન્મોત્સવના વધામણા કરશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નંદના લાલાના જન્મોત્સવનો હરખ, ગલીઓ ગોકુળ બન્યા, મહોલ્લા મથુરા બન્યા જયારે વિસ્તારો વૃંદાવન બન્યા
પુષ્ટિમાર્ગીય હવેલીઓ, ઠાકરદ્વારા સહિતના ધર્મસ્થાનકો રોશનીથી ઝળહળી ઉઠયા, ચોમેર ભાતીગળ લોકમેળાની રંગત, જિલ્લામાં ધર્મમય માહોલ છવાયો
ભાવનગર - શ્રીમદ ભગવદ ગીતામાં સમસ્ત સંસારના કલ્યાણનો ઉમદા માર્ગ પ્રબોધનાર નંદના લાલાના પ્રાગટયોત્સવની ગોહિલવાડમાં આવતીકાલ તા.૪ સપ્ટેમ્બરને શુક્રવારે પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. જન્માષ્ટમીના અવસરે ધર્મસ્થાનકો મનોહર રોશનીથી ઝળહળી ઉઠશે. તમામ ધર્મસ્થાનકોમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના હર્ષોલ્લાસભેર વધામણા કરાશે. આ પ્રસંગે ઠેર-ઠેર ગોકુળીયા, મટકીફોડ અને મુવીંગ દ્રશ્યો સહિતના કાર્યક્રમો યોજાશે. બરાબર રાત્રીના ૧૨ ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરવામાં આવશેે. આ સાથે ગોહિલવાડ કૃષ્ણમય બની જશે. જયારે શનિવારે નોમના દિવસે ચોમેર નંદ મહોત્સવ ઉજવાશે.
ગોહિલવામાં ગુરૃવારે શીતળા સાતમના મહાપર્વની શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ હતી.ગૃહિણીઓ દ્વારા સવારે નીત્યક્રમ બાદ ચાંદલો કરી અક્ષત ચડાવી,નાગલા ચૂંદડી ચઢાવી ઘેર ઘેેર ચુલા અથવા ગેસના સ્ટવનું પૂજન કરાયુ હતુ. આ સાથે ઘોઘા રોડ સહિતના શીતળા માતાજીના મંદિરે પરંપરાગત રીતે ભરાતા ભાતીગળ લોકમેળો માણ્યો હતો.જયાં બહેનોએ માતાજીનું પૂજન અર્ચન કરી ઘંઉના લોટની બનાવેલી કુલેર અર્પણ કરી હતી. જયારે અનેક પરિવારજનોએ વાડી,ખેતર, ફાર્મહાઉસમાં સાતમ મનાવી હતી. આ સાથે રૃવાપરી, તખ્તેશ્વર સહિતના સ્થળોએ પણ પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળા યોજાયા હતા. જયારે આવતીકાલ તા.૪ ને શુક્રવારે ભાવનગર શહેર અને જિલ્લો કૃષ્ણ જન્મોત્સવને લઈને કૃષ્ણભકિતમાં મગ્ન બની જશે. આ નિમીત્તે પુષ્ટિમાર્ગીય હવેલીઓ, સ્વામિનારાયણ મંદિર,ઈસ્કોન,કૃષ્ણના મંદિરો, ઠાકરદ્વારા સહિતના ધર્મસ્થાનકોમાં ધજા, પતાકા અને રોશનીથી ચિત્તાકર્ષક સુશોભન અને શણગાર કરાયા હતા.પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં જન્મોત્સવના વિશેષ દર્શન થશે. વહેલી સવારે પંચામૃતના દર્શન થશે. જન્માષ્ટમીએ ભાવીકો ઉપવાસ અને એકટાણા કરશે. રાત્રીના કર્ણપ્રિય મટકી ગીતોના ગાન સાથે કૃષ્ણ ભકિતના ગીતોની રમઝટ બોલાવાશે. ધર્મસ્થાનકોમાં ભાવિકો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાશે. શહેરના વાઘાવાડી રોડ પર માધવદર્શન સામે આવેલ રાધામંદિરે મિત્રમંડળ દ્વારા આજે રાત્રે ૧૨-૩૦ કલાકે જન્મોત્સવ ઉજવાશે.
ઠેર-ઠેર નંદ મહોત્સવ ઉજવાશે
આગામી તા.૫-૯ ને શનિવારે સવારે ભાવનગર શહેર અને જિલ્લાના ધર્મસ્થાનકોમાં નંદ મહોત્સવની ૫રંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સવારે ઠાકોરજીના પલના નંદ મહોત્સવ ઉજવાશે. જ્ઞાાતિ,સમાજ દ્વારા જન્માષ્ટમીના પારણાના વ્યકિતગત અને સામૂહિક આયોજનો કરવામાં આવેલ છે.




