નાગલપર ગામે ખૂની ખેલ ખેનાર ત્રણ શખ્સને આજીવન કેદની સજા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાડીના રસ્તે ચાલવા જેવી નજીવી બાબતમાં હત્યા કરી નાંખી હતી
ચારેક વર્ષ પૂર્વેની ઘટનામાં બોટાદ કોર્ટે દાખલરૃપ સજાનો હુકમ કર્યો
બોટાદ - બોટાદ તાલુકાના નાગલપર ગામે ચારેક વર્ષ પૂર્વે વાડીના રસ્તે ચાલવા જેવી નજીવી બાબતમાં ત્રણ શખ્સે ખેલેલા ખૂની ખેલમાં બોટાદ કોર્ટે ત્રણેય હત્યારાને આજીવન સખત કેદની સજા ફટકારી છે.
બોટાદના નાગલપર ગામે રહેતો લાલજી અને તેના પુત્રોને વનરાજભાઈ ગોવિંદભાઈ કિહલા તેમજ તેમના ભાઈને જમીનના ભાગ પડયા બાદ વાડીના નીચેના ભાગે આવેલા ચાલવાના રસ્તા પરથી ચાલવા દેવા ન હોય, તે બાબતની ચાલી રહેલી તકરારની દાઝ રાખી ગત તા.૭-૯-૨૦૨૨ના રોજ લાલજી ખોડાભાઈ કિહલા, વિપુલ લાલજીભાઈ કિહલા અને દિનેશ લાલજીભાઈ કિહલાએ એકસંપ કરી કરશનભાઈ ગોવિંદભાઈ કિહલાને કોદાળી, ધારિયું અને છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરી નાંખી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ વનરાજભાઈ કિહલાએ બોટાદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આઈપીસી ૩૦૨, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર), ૧૪૩, ૧૪૪, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ બોટાદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની ધારદાર દલીલો, રજૂઆતો તેમજ સરકાર પક્ષે ૪૪ દસ્તાવેજી પુરાવા અને ૧૭ સાક્ષીઓને તપાસવામાં આવ્યા બાદ ન્યાયમૂર્તિ એમ.જે. પરાશરે આરોપી લાલજી કિહલા, વિપુલ કિહલા અને દિનેશ કિહલાને તકસીરવાન ઠેરવી આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં વિથ પ્રોસિક્યુશન તરીકે ધારાશાસ્ત્રી ઉત્પલભાઈ આર. દવે, અરવિંદભાઈ એસ. મેટાલિયા અને સંજયભાઈ વિ. મકવાણા હતા.




