યુજી સેમ-૧ની પરીક્ષા પાછી ઠેલવવા વિદ્યાર્થી સંગઠનની કુલપતિને રજૂઆત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જીકાસ દ્વારા ૧૧ સપ્ટેમ્બર સુધી પ્રવેશ શરૃ રહ્યો હતો
કોલેજોમાં અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીનો પુરતો સમય પણ નથી મળ્યો ત્યારે યોગ્ય નિર્ણય જરૃરી
ભાવનગર - મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીમાં યુજી સેમ-૧માં પ્રવેશ પ્રક્રિયા માટે જીકાસ દ્વારા તબક્કાવાર રાઉન્ડ અને ખાસ રાઉન્ડ જાહેર કરી છેલ્લે ૧૧ સપ્ટેમ્બર સુધી આ પ્રવેશ પ્રક્રિયા શરૃ રખાતા વિદ્યાર્થીઓનો કોર્ષ પૂર્ણ થયો નથી અને પરીક્ષાની તૈયારીનો પર્યાપ્ત સમય પણ રહ્યો નથી ત્યારે સંભવિત તા.૨૮ ઓક્ટો.ના બદલે આ પરીક્ષા મુલત્વી રાખી પરીક્ષા પાછી ઠેલવવા કુલપતિને રજૂઆત થવા પામી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં નવા અભ્યાસક્રમ અંતર્ગત સેમેસ્ટર-૧માં પ્રવેશ પ્રક્રિયા તાજેતરમાં પૂર્ણ થઇ છે. ઘણા વિદ્યાર્થીઓના પ્રવેશો ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ચાલુ રહ્યા હતાં. બીજી તરફ યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર-૧ની પરીક્ષા માટે સંભવિત તા.૨૮ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હોય. પ્રવેશ પ્રક્રિયા મોડી પૂર્ણ થવાના કારણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ માટે પુરતો સમય મળ્યો નથી. હાલમાં અનેક વિષયોનો અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી તેમજ વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક તૈયારી માટે જરૃરી સમય પણ ઉપલબ્ધ થયો નથી. આવી સ્થિતિમાં નિર્ધારિત સમય મુજબ પરીક્ષા લેવામાં આવશે તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકશાન થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા માંગણી કરવામાં આવે છે કે સેમેસ્ટર-૧ની પરીક્ષાની તારીખ પાછળ લેવામાં આવે, જેથી કોલેજોમાં અભ્યાસક્રમ પૂર્ણ થઇ શકે અને વિદ્યાર્થીઓને પુરતો તૈયારીનો સમય મળી રહે.




