કાળિયાબીડમાં ગેટ બંધ કરવા જેવી બાબતે પાડોશી પિતા-પુત્રનો વેપારી પર ધારીયા વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નીલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો
જૂની અદાવત રાખી પિતા-પુત્રે હીરાના વેપારીને લોહીલુહાણ કર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપી
ભાવનગર - ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી પંચવટી સોસાયટીમાં સોસાયટીનો દરવાજો બંધ કરવા જેવી નજીવી બાબતે જૂની અદાવત રાખીને પિતા-પુત્રે પાડોશી વેપારી પર ધારીયા અને મૂઢ માર વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મળતી વિગતો અનુસાર, કાળિયાબીડની પંચવટી સોસાયટીમાં રહેતા અને હીરાનો વેપાર કરતા નિલેષભાઈ ભગવાનભાઈ પટેલ (ઉં.વ. ૪૪) ગત તા. ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ રાત્રિના ૧૧થ૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા જીતુભાઈ બેલડીયાનો પુત્ર સુમીત ત્યાં આવ્યો હતો અને તમારો દીકરો સોસાયટીનો ગેટ કેમ બંધ નથી કરતો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યો હતો. નિલેષભાઈએ દીકરો ભૂલી ગયો હશે તેમ કહેતા જ સુમીત ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.ગાળો બોલવાની ના પાડતાં જ સુમીતના પિતા જીતુ પણ ત્યાં ધસી આવ્યા હતા અને નિલેષભાઈને મૂઢ માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન સુમીત ધારીયું લઈ આવ્યો હતો અને નિલેષભાઈના માથા પર ધારીયાનો ઊંધો ઘા મારવા જતાં તેમણે જમણો હાથ આડો રાખતા હાથ પર ગંભીર ઈજા પહોંચી હતી અને હાથ લોહીલુહાણ થઈ ગયો હતો.અવાજ થતાં પરિવારજનો અને પાડોશીઓ દોડી આવતા નિલેષભાઈને વધુ મારમાંથી બચાવ્યા હતા. જતાં-જતાં પિતા - પુત્રએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે નીલમબાગ પોલીસે જીતુ બેલડીયા અને સુમીત બેલડીયા સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




