બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરાવનારા અધ્યાપકો-કર્મચારીઓની સંખ્યા ઘટીને 40 ટકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવાની બાયો મેટ્રિક સિસ્ટમ હવે શોભાના ગાંઠીયા જેવી પૂરવાર થઈ રહી છે.આ સિસ્ટમનો હાજરી પૂરવા માટે ઉપયોગ કરનારા અધ્યાપકો અને કર્મચારીઓની સંખ્યા ૪૦ ટકા જ રહી ગઈ છે.
તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવે ૨૦૨૪માં લાખો રુપિયાના ખર્ચે બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ કરાવી હતી અને તેની પાછળ લાખો રુપિયાનો ખર્ચ થયો હતો.તેની સાથે સાથે અધ્યાપકો અને કર્મચારીઓ માટે કેમ્પસમાં ફરજિયાત આઠ કલાક હાજરી આપવા સહિતના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.તે વખતે પણ અધ્યાપક આલમે બાયો મેટ્રિક સિસ્ટમનો વિરોધ કર્યો હતો.જોકે ડો.શ્રીવાસ્તવે આ વિરોધને ગણકાર્યો નહોતો.
૨૦૨૫માં વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપ્યા બાદ હવે બાયો મેટ્રિક સિસ્ટમમાં હાજરી પૂરનારા અધ્યાપકો અને કર્મચારીઓની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે.વર્તમાન વાઈસ ચાન્સલેર પ્રો.ભણગે હાજરી માટે આ સિસ્ટમના આગ્રહી નથી તેવું કહેવાઈ રહ્યું છે અને તેના કારણે હવે આ સિસ્ટમમાં હાજરી નોંધાવનારા અધ્યાપકો અને કર્મચારીઓની સંખ્યા ઘટીને ૪૦ ટકા પર પહોંચી ગઈ છે.આ જ ટ્રેન્ડ રહ્યો તો બહુ જલ્દી બાયોમેટ્રિક સિસ્ટમ ધૂળ ખાતી થઈ જશે.









