જર્જરિત માંડવી દરવાજાના પીલરના સમારકામમાં અંદાજ કરતાં 18 ટકા વધુ ખર્ચ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરા શહેરના ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત પીલરના સમારકામ અને રિસ્ટોરેશન માટે વડોદરા મહાનગરપાલિકાએ અંદાજિત રકમ કરતાં 18 ટકા વધુ ખર્ચ કર્યો છે. રૂ.9,57,791ની અંદાજિત રકમ સામે કોન્ટ્રાક્ટરને રૂ.11,30,193 ચૂકવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કામગીરી માટે માર્ગદર્શન આપનાર સલાહકાર મોદી એસોસિયેટ્સને પણ નિર્ધારિત ધોરણે અલગથી ફી ચૂકવવામાં આવશે. આ ખર્ચની જાણ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
ઐતિહાસિક માંડવી દરવાજાના સ્ટ્રક્ચરલ ડેમેજના સમારકામ માટે સલાહકાર મોદી એસોસિયેટ્સની સલાહ લેવામાં આવી હતી. ત્યારબાદ જીપીએમસી એક્ટની કલમ 67(3)સી હેઠળ કોન્ટ્રાક્ટર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને રિસ્ટોરેશનની કામગીરી સોંપવામાં આવી હતી. આ માટે 28 એપ્રિલ, 2025ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો.
પ્રથમ તબક્કામાં જર્જરિત પીલરની ફરતે સપોર્ટ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું, જેથી ક્ષતિગ્રસ્ત પીલરના કારણે સમગ્ર ઐતિહાસિક માળખાને વધુ નુકસાન થતું અટકાવી શકાય. ત્યારબાદ વચ્ચેના પીલરને ગંભીર નુકસાન હોવાનું જણાતા પીલરને બહારથી હોટલાઈમ કોંક્રિટ કરીને વધારાનો સપોર્ટ આપવામાં આવ્યો હતો. સ્ટ્રક્ચર કોલેપ્સ થવાની સંભાવના ટાળી શકાય તે માટે પીલરને મજબૂત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી 12 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્ણ થઈ હતી. રૂ.9,57,791ના અંદાજ સામે કોન્ટ્રાક્ટરે અંદાજિત રકમ કરતાં 18 ટકા વધુ ભાવે એટલે કે રૂ.11,30,193માં કામગીરી કરવા ઓફર કરી હતી, જેને મંજૂરી આપવામાં આવી હતી.
આમ, ઐતિહાસિક માંડવી દરવાજાના જર્જરિત પીલરના સમારકામમાં અંદાજ કરતાં આશરે રૂ.1.72 લાખ વધુ ખર્ચ થયો છે. ઉપરાંત રિસ્ટોરેશન માટે સલાહ આપનાર મોદી એસોસિયેટ્સને પણ અલગથી ફી ચૂકવવાની હોવાથી અંતિમ ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે.




