40થી વધુ રખડતા કૂતરાની ઓનલાઈન ફરિયાદો છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ : વાડી-પાણીગેટ વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : મંદિર, મદરેસા માટે સ્વામિનારાયણ મંદિર, પાણીગેટ વિસ્તાર અને હરણખાના રોડ પર રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક રીતે વધી ગયો હોવાની ફરિયાદો સામે આવી છે. રખડતા શ્વાનો દ્વારા લોકો અને બાળકોને બચકા ભરવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં 40 જેટલી ઓનલાઈન ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા અસરકારક અને કાયમી કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજા-અર્ચના માટે અવરજવર કરતા ભક્તો ઉપરાંત નજીકની મદરેસા અને શાળામાં જતા બાળકોને રખડતા શ્વાનો બચકા ભરી રહ્યા છે. હરણખાના રોડ સહિતના વિસ્તારમાં શ્વાનો ટોળેટોળામાં ફરતા હોવાથી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, રખડતા શ્વાનોના વધતા ત્રાસ અંગે અલગ અલગ લોકોએ 40 જેટલી ઓનલાઈન ફરિયાદો કરી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. ક્યારેક તંત્ર દ્વારા એકાદ-બે શ્વાન પકડીને દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. જેના કારણે રખડતા શ્વાનોની સતત વધતી વસ્તી પર કોઈ અસરકારક અંકુશ આવી રહ્યો નથી.
શ્વાનોનો ભોગ બનેલા અને શ્વાનના ત્રાસથી ભયભીત લોકોનો કિંમતી સમય પણ સારવાર અને દોડધામમાં વેડફાઈ રહ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી વિસ્તારમાંથી રખડતા શ્વાનોને પકડી તેમનો ત્રાસ દૂર કરવાની માગ કરી છે.




