રેશનિંગ દુકાનોમાં અપાયેલા તેલના બોક્સમાં એક પાઉચ ઓછું નીકળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રેશનિંગ દુકાનો પર ગરીબો માટે પહોંચાડાતા સિંગતેલના બોક્સમાંથી એક લિટરનું એક પાઉચ ઓછું નીકળતા દુકાનદારોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગોડાઉનમાંથી પાઉચ કાઢી લેવામાં આવ્યા કે ઉપરથી જ ઓછા પાઉચવાળા બોક્સ પહોંચાડાય છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વર્ષમાં બે વખત સિંગતેલનું સસ્તા દરે વિતરણ કરવામાં આવે છે. જન્માષ્ટમી તેમજ દિવાળીમાં થતા આ વિતરણ અંગે નાગરિક પુરવઠા નિગમ દ્વારા જે તે જિલ્લામાં સિંગતેલનો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે. સિંગતેલના એક બોક્સમાં એક કિલોના એક લિટરના કુલ ૧૨ સીલબંધ પાઉચ રાખવામાં આવે છે.
દરમિયાન જન્માષ્ટમી માટે ગ્રાહકોને અપાતા તેલનો પુરવઠો રેશનિંગ દુકાનોના સંચાલકોને આજથી પહોંચાડવાનું કામ શરૃ કરી દેવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે રેશનિંગના દુકાનદારો જ્યારે બોક્સનું વજન કરે છે ત્યારે તેમને પહોંચાડેલા કુલ બોક્સ પૈકી અડધા બોક્સમાં વજન ઓછું જણાયું હતું. જેથી સીલબંધ બોક્સ ખોલીને અંદરથી પાઉચની ગણતરી કરતા તેમાં એક પાઉચ ઓછું જણાયું હતું.
આમ ગરીબ ગ્રાહકોને તહેવારો માટે અપાતા તેલના જથ્થામાં ઘટ જણાતા દુકાનદારો ચોંકી ગયા છે. તેલ માટે પુરવઠાખાતાને પૂરતા પૈસા આપવા છતાં પાઉચની સંખ્યા બોક્સમાંથી ઓછી નીકળતા દુકાનદારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એટલું જ નહી પરંતુ જ્યારે ગ્રાહકો સુધી તેલનો જથ્થો ના પહોંચે તો બૂમો ઊઠે અને જ્યારે પુરવઠાખાતા દ્વારા તપાસ કરવામાં આવે તો જથ્થામાં વધઘટ જણાય તો કાર્યવાહીનો સામનો કરવો પડે.









