માંજલપુર પેટા ચૂંટણીનો જંગ આખરી તબક્કામાં : કાલે સાંજે 5 સાંજે પ્રચાર પડઘમ શાંત, 30મીએ મતદાન : 3જીએ પરિણામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Manajpur ByElection : વડોદરા શહેરની 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આ બેઠક માટે 30 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટના રોજ મતગણતરી હાથ ધર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
ચૂંટણી આચારસંહિતા અને ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાનના 48 કલાક અગાઉ ચૂંટણી પ્રચાર બંધ કરવાનો હોય છે. તે મુજબ આવતીકાલે સાંજે 5 વાગ્યે તમામ પ્રકારના જાહેર ચૂંટણી પ્રચારનો અંત આવશે. ત્યારબાદ ઉમેદવારો જાહેર સભા, રોડ શો, પ્રચાર રેલી સહિતના કાર્યક્રમો યોજી શકશે નહીં. ચૂંટણી પ્રચાર શાંત થતાં હવે ઉમેદવારો અને તેમના કાર્યકરો ઘર-ઘર સંપર્ક અને મતદારો સુધી વ્યક્તિગત પહોંચના પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઉલ્લેખનીય છે કે, માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સ્વ.યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે અહીં પેટાચૂંટણી જાહેર કરી હતી. ઉમેદવારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને વિવિધ રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવા માટે સભાઓ, જનસંપર્ક અને વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા.
હવે પ્રચારનો અંત નજીક હોવાથી રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત ચૂંટણી મેદાનમાં ઉતારી દીધી છે. બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાનને શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે જરૂરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો અને ચૂંટણી કર્મચારીઓની વ્યવસ્થા સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.









