વિશ્વાસમાં લીધા વગર કામ કરશો તો પ્રશ્નો ઊભા થશે ઃ ધારાસભ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં વ્હીકલ પુલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ કોર્પોરેશન હસ્તક ભૂતડીઝાંપા ખાતે વ્હીકલ પુલ કાર્યરત છે ત્યારે માંજલપુર વિસ્તારમાં લિટલ ફ્લાવર્સ શાળા પાસે ટીપી-૧૯ના એફપી-૨૯૭માં શાળા હેતુ માટે અનામત પ્લોટ પર વ્હીકલ પુલ બનાવવાનું આયોજન થતાં વિવાદ સર્જાયો છે.
માંજલપુરના ધારાસભ્યએ કહ્યું કે પંચશીલ ગ્રાઉન્ડમાં વ્હીકલ પુલ બનાવવાના આયોજનથી સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે મ્યુનિ. કમિશ્નર સાથે વાતચીત કરી હાલ આ આયોજનને મુલતવી રખાયું છે.
વધુમાં કહ્યું કે આ મેદાનમાં શાળાના બાળકો રમવા આવે છે તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો, જેમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. જો અહીંથી ભારદારી વાહનોની સતત અવરજવર શરૃ થશે તો અકસ્માતનો ભય ઊભો થઈ શકે છે.
વધુમાં એમણે કહ્યું કે, અધિકારીઓની ભૂલના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ લોકોનો આક્રોશ સહન કરવાનો વખત આવે છે. વિકાસના આવા મહત્ત્વના નિર્ણયો કરતા પહેલાં સંબંધિત વિસ્તારના લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લેવા જોઈએ. અગાઉથી યોગ્ય ચર્ચા અને આયોજન કરવામાં આવે તો આવા વિવાદો ઊભા થાય નહીં.
વધુમાં ઉમેર્યું કે મ્યુનિ.કમિશ્નર માત્ર 'ખબર નથી' કહી જવાબદારીમાંથી છટકી જાય તે યોગ્ય નથી. જો ભૂલ થઈ હોય તો તેને સ્વીકારવી જોઈએ. વહીવટીતંત્ર ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસમાં લઈ આગળ વધે તો જ મહાનગરપાલિકાના વિકાસમાં કોઈ અવરોધ ઊભો થાય નહીં.




