ગટર મિશ્રિત પાણીથી મોગલવાડા-બરાનપુરામાં રોષ : રહીશોએ માટલા ફોડ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરાના વોર્ડ નંબર 14માં આવેલા મોગલવાડા અને બરાનપુરા વિસ્તારમાં નળ દ્વારા દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાની ફરિયાદોને લઈને રહીશોમાં ભારે ચિંતા અને રોષ ફેલાયો છે. નળમાંથી આવતા પાણીનો રંગ કાળાશ પડતો હોવાનું અને તેમાં ફીણ જોવા મળતું હોવાનું રહીશોએ જણાવ્યું છે. પાણી ગટર મિશ્રિત હોવાનું જણાતાં લોકોમાં આરોગ્યને લઈને ભયનો માહોલ સર્જાયો છે.
દૂષિત પાણીના પ્રશ્ને આજે વિસ્તારના રહીશો એકત્ર થયા હતા અને કોંગ્રેસના કાઉન્સિલરની ઉપસ્થિતિમાં માટલા ફોડી તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. મહિલાઓએ જણાવ્યું હતું કે, નળમાંથી આવતું પાણી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. વિસ્તારમાં પહેલેથી જ બીમારીઓનો વાવર હોવાનો દાવો કરતા રહીશોએ દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરી હતી.
રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે, પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળ્યું છે કે પછી અન્ય કોઈ કારણસર પાણીની ગુણવત્તા બગડી છે? આ અંગે મહાનગરપાલિકાના સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાઉન્સિલરે પણ તંત્ર પાસે મોગલવાડા અને બરાનપુરા વિસ્તારના રહીશોને તાત્કાલિક ચોખ્ખું અને પીવાલાયક પાણી પૂરું પાડવાની માંગ કરી છે.




