Gujarat

વડગામ તાલુકાના હડમતીયા ગામે અરજદારે તલાટીને લાફા ઝીંકી દીધા

By GS Team
4 Nov 20211 min read
This article was originally published on 4 Nov 2021
વડગામ તાલુકાના હડમતીયા ગામે અરજદારે તલાટીને લાફા ઝીંકી દીધા

છાપી તા.3

વડગામ તાલુકાના હડમતીયા ગામના તલાટીએ આવકના કોરા ફોર્મ ઉપર સહી સિક્કા ન કરી આપતા ગામના અરજદારે તલાટીના ગાલ ઉપર તમાચા ફટકારતા ગામમાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન તલાટીએ મંગળવારે વડગામ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વડગામના હડમતીયા ગામના દિનેશ માંઘજીભાઈ  ચૌધરી તેમજ તેમનો ભાઈ મુકેશભાઈ ચૌધરી મંગળવારે ગ્રામ પંચાયતમાં ગયા હતા અને ફરજ પરના તલાટી અંકિતભાઈ જોશીને આવક ના કોરા ફોર્મ ઉપર સહી સિક્કા કરી આપવાનું કહ્યું હતું. જેથી તલાટીએ કોરા ફોર્મ ઉપર સહી સિક્કા કરી આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા દિનેશ ચૌધરીએ બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તલાટીનું મોઢું પકડી ગાલ ઉપર બે લાફા ઝીંકતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને લઈ તલાટી અંકિતકુમાર વિષ્ણુભાઈ જોશી (મુળ રહે. નાંદોત્રા તા. વડગામ )એ સરકારી કામગીરીમાં અડચણ સહિત જાનથી મારી નાખવાની ધમકી આપનાર દિનેશ માંઘજીભાઈ ચૌધરી તેમજ મુકેશ માંઘજીભાઈ ચૌધરી વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરજ પરના  તલાટીને લાફો મારવાની ઘટનાને  લઈ  વડગામ પંથકમાં ચકચાર મચવા સાથે  વડગામ તલાટી મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

મહિલા સરપંચના પતિની હાજરીમાં બબાલ

ગામના અરજદારે સહી-સિક્કા કરાવવા તલાટી પાસે જોહુકમી કરી દાદાગીરી સાથે મારી નાખવાની ધમકી આપી હતી.  જે બાદ મારામારી કર્યા સમયે ગામના સરપંચના પતિ ખેમાભાઈની હાજરીમાં થયેલી બબાલથી લોકો અવાક્ બની ગયા હતા.