Gujarat

અરવલ્લીમાં 15 દિવસમાં કોરોનાના ત્રણ કેસ મોડાસામાં છ બેડનો ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો

By GS Team
10 Dec 20212 mins read
This article was originally published on 10 Dec 2021
અરવલ્લીમાં 15 દિવસમાં કોરોનાના ત્રણ કેસ  મોડાસામાં છ બેડનો ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો

મોડાસા,તા.9

છેલ્લા ૨૨ માસથી રાજયભરમાં કોરોનાનું સંક્રમણ વ્યાપ્યું છે. થોડાક અંતરાલના વિરામ બાદ કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનથી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં ૩ વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમીત થતાં તંત્ર દ્વારા મોડાસા ખાતે ૬ બેડનો ઓમિક્રોન વોર્ડ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઉભો કરાયો છે. જયારે ૧૪૫ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે.અને જરૂર જણાય જિલ્લાના વાત્રક અને ભિલોડા ખાતેની હોસ્પિટલોમાં સારવાર સેવા શરૂ કરવામાં આવનાર હોવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.

ગત વર્ષે દિવાળી બાદ રાજયમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પછી કોરોના સંક્રમણની ઘાતક બીજી લહેરમાં કેટલીય માનવ જીંદગીઓ હોમાઈ ગઈ હતી. ત્યારે હવે ૧૯ મી ડીસેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ,લગ્નસરાની ખીલેલી મોસમ અને રાજકીય પક્ષોની યાત્રાઓ,સભાઓથી માંડી કોવીડ ગાઈડ લાઈનના ભંગ કરતા જુદાજુદા કાર્યક્રમો ત્રીજી લહેર લાવી ને જ ઝંપશે એમ મનાઈ રહયું છે. છેલ્લા ૧૫ દિવસમાં અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણના ૩ કેસ નોંધાયા છે. ભિલોડાના કોરોનાગ્રસ્ત તબીબના સેમ્પલ જીનોમ  સીકવન્સીંગમાં મોકલી અપાયા છે અને તંત્ર આ રીપોર્ટની રાહ જોઈ રહયું છે.ત્યારે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ ખાતે તંત્ર દ્વારા છ બેડનો ઓમિક્રોન વોર્ડ ઉભો કરાયો છે. સાર્વજનિક હોસ્પિટલ ખાતે જ ૧૪૫ બેડની કોવીડ-૧૯ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે,અને જરૂર પડે વાત્રક અને ભિલોડા ખાતેની હોસ્પિટલોમાં પણ સારવાર સેવા શરૂ કરવાની તૈયારીઓ પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવનારછે. ત્યારે આગામી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં તંત્ર કોવીડ ગાઈડ લાઈનનું કડક રીતે પાલન કરાવે,રસીકરણ ઝુંબેશને વેગ અપાય અને જિલ્લામાં દરેક વ્યક્તિ માસ્ક પહેરી સોશીયલ ડિસ્ટન્સીંગનું પાલન કરે તે જરૂરી મનાય છે.

અરવલ્લી જિલ્લામાં એક  એકિટવ કેસ

અરવલ્લી જિલ્લામાં ધીમે પગલે કોરોનાનું સંક્રમણ વધતું જણાય છે. છેલ્લા ૧૫ દિવસમાં ૩ પોઝીટીવ કેસ મળ્યા છે,હાલ ૧ એક્ટિવ કેસ હોમ કર્વારન્ટાઈન કરાયેલ છે. જયારે અરવલ્લીના પડોશી જિલ્લા ખેડામાં ૦૪ એકટીવ અને ૮૭ કર્વારન્ટાઈન, મહિસાગર જિલ્લામાં ૧ એકટીવ કેસ અને સાબરકાંઠા જિલ્લામાં ૩૦ દર્દી કર્વારનટાઈન કરાયેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૩ પોઝીટીવ કેસ નોંધાયા છે.

એક અઠવાડિયામાં ૨૬૨૮૮ વ્યક્તિઓએ રસીનો બીજો ડોઝ મેળવ્યો

અરવલ્લી જિલ્લાની આશરે ૧૧ લાખની વસ્તી પૈકી ૮,૩૫,૩૯૫ નાગરિકો રસીપાત્ર ગણી લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે. છેલ્લા ૧૧ માસની રસીકરણ ઝુંબેશમાં હજુ ૧.૧૪ લાખ વ્યક્તિઓ રસી લેતાં જ નથી,પરંતુ કોરોના ના નવા વેરીએન્ટ ઓમિક્રોનના ફફડાટને લઈ જિલ્લામાં એક અઠવાડીયામાં જ ૨૬૨૮૮ નાગરિકોએ રસીનો બીજો ડોઝ મેળવ્યો છે. જિલ્લામાં પ્રથમ ડોઝ રસીનો ૮૬ ટકા અને બીજો ડોઝ રસીનો ૧૦૦ ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરાયો છે.