Gujarat

વૈડીમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા 15 ગામોના ખેડૂતોની માંગ સાથે રામધૂન

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
વૈડીમાંથી વાત્રક નદીમાં પાણી છોડવા 15 ગામોના ખેડૂતોની માંગ સાથે રામધૂન

મોડાસા,તા.4

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકાના ૧૫ જેટલા ગામો વાત્રક નદીના કિનારે આવેલા હોવા છતાં કોરીભઠ્ઠ થયેલ આ નદીને લઈ જરૂરી સિંચાઈના અભાવે કાંઠાના ખેડૂતો દ્વારા મહામહેનતે કરાયેલ રવિ વાવેતર જરૂરી સિંચાઈના અભાવે મુરઝાઈ જતાં પાણીની માંગ ઉઠાવી હતી. પોતાની માંગનાસમર્થનમાં આ ખેડૂતો દ્વારા નદીમાં ખેત સિંચાઈ માટે પાણી છોડવા માંગ ઉઠાવી હતી.

અરવલ્લી જિલ્લામાંથી વહેતી માઝુમ,વાત્રક,મેશ્વો અને વૈડી નદી ઉપર મસમોટા જળાશયો બાંધવામાં આવ્યા છે અને આ મોટા ડેમોથી જિલ્લાના કેટલાય ગામોમાં પીવાના પાણીનો અને રવિ તેમજ ઉનાળુ સીઝનમાં ખેતીપાકો માટે સિંચાઈનો પ્રશ્ન હલ થઈ રહયો છે. પરંતુ આ જળાશયોના ઉપરવાસમાં આવેલ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જળાશયોની કેનાલો દ્વારા પૂરો પડાતો સિંચાઈનો લાભ મળતો ન હોવાથી નદી કાંઠે પણ તરસ્યા રહેવા જેવા ઘાટની સ્થિતિ સર્જાતી હોય છે. જિલ્લાના વાત્રક જળાશયમાંથી ડાબા અને જમણા કાંઠાની કેનાલ મારફત માલપુર,બાયડ સહિતના પંથકમાં ખેડૂતોને સિંચાઈનો લાભ રવિ સીઝનમાં છોડાતાં કેનાલ પાણીથી મળી રહે છે. પરંતુ વાત્રક નદીના ઉપરવાસ પંથકમાં આવેલા મેઘરજ અને માલપુર તાલુકાના કેટલાય ગામોને નદી કાંઠે પણ તરસ્યા રહેવાની સ્થિતિનો વારો આવી રહયો છે.

 માલપુર તાલુકાના પરસોડા ગામ સહિત આસપાસના ગામોના ખેડૂતોએ ગામના સીમાડેથી વાત્રક નદી પસાર થતી હોવા છતાં હાલ રવિ પાક જરૂરી  સિંચાઈના અભાવે મુરઝાઈ રહયો હોઈ મીડીયા સમક્ષ ભારે વેદના પ્રગટ કરી હતી. અને આ પંથકના ખેડૂતોએ વાત્રક નદીમાં જ રામધૂન યોજી તંત્ર સમક્ષ રવિ વાવેતરને લઈ સિંચાઈનો જરૂરી લાભ મળી રહે તેવી માંગ ઉઠાવી હતી. મેઘરજ તાલુકામાં આવેલ વૈડી જળાશયમાંથી  વાત્રક નદીમાં પાણી છોડાય તો મેઘરજ તાલુકાના ૬ થી ૭ ગામો અને માલપુર તાલુકાના ૦૪ ગામોના ૫૦૦ થી વધુ ખેડૂતો દ્વારા આ વર્ષે રવિ સીઝનમાં કરાયેલ ૮ થી ૧૦ હજાર હેકટરના શિયાળુ પાકોને જરૂરી સિંચાઈનો લાભ મળી રહેશે. એવી રજૂઆત સાથે નદીમાં પાણી છોડવા માંગ ઉઠાવાઈ હતી.

વાત્રક નદી સૂકીભઠ્ઠ થતાં નદી કિનારા હોવા છતાં તરસ્યા જેવો ઘાટ

વાત્રક નદીમાં રામધૂન યોજી રહેલા કેટલાક ખેડૂતો પૈકી ખેડૂત મહાસુખભાઈ પટેલ અને દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વાત્રક નદીમાં હાલ પાણી નથીસૂકીભઠ્ઠ નદીને લઈ પશુઓને પીવાના પાણીનો સર્જાયો છે. જયારે નદી નાળામાં પાણી સૂકાઈ જતાં પંથકના કૂવાના તળ ઊંડા ઉતર્યા છે અને નદી કાંઠે જ તરસ્યા રહેવા જેવો ઘાટ સર્જાયો છે અને મહામહેનતે કરાયેલ રવિપાક વગર પાણીએ સૂકાઈ રહયા છે.