- હાલમાં વણાંકબોરી ખાતે જળસ્તર 218 ફુટ 6 ઇંચની સપાટીએ છે
- મુખ્ય શાખામા 400, નડિયાદ બ્રાન્ચમાં 1250, શેઢી શાખામાં 450 કયુસેક પાણી વહેતું થયું
વલ્લભવિદ્યાનગર : ચરોતરમાંથી પસાર થતી મહી મુખ્ય કેનાલ, શાખા, પ્રશાખાઓમાં હાલમા રવી સિઝન માટે પાણી છોડવામા આવી રહ્યું છે. જોકે થોડા સમય પૂર્વે પ્રતિદીન ૧૮૦૦ થી ૨ હજાર કયુસેકની ક્ષમતામાં નહેરોમા જળપ્રવાહ વહેતો હતો. જોકે ખેડૂતોની માંગ અને ખેતીપાક માટે અર્નિાર્યતાને ધ્યાને લઇને ૧૦૦ કયુસેકનો વધારો કરીને હાલમાં ૨૧૦૦ કયુસેક જથ્થો વહેતો કરાયો છે.
આણંદ-ખેડા જિલ્લામા આવેલી મહિકેનાલોમાં ત્રણેય ખેતસિઝન ઉપરાંત ઉનાળુઋતુમા પીવાલાયક પાણીની માંગને પહોંચી વળવા માટે તબક્કાવાર પાણી છોડવામા આવે છે.
જેમાં ગ્રીષ્મઋતુમા પીવાના પાણી માટે ચરોતર પ્રદેશના કનેવાલ અને પરીએજ તળાવોને જળભરપુર કરીને સ્થાનિક વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચતુ કરવામા આવે છે. સાથોસાથ ખેડૂતોની માંગણીને ધ્યાને લઇને જળાશયોમા પાણીના પ્રમાણ, ખેતીપાક માટે નિશ્ચિત જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો ફાળવવામા આવે છે. ત્યારે બન્ને જિલ્લામાં શિયાળુ સિઝનના ઘઉં, ચમાકુ, ચણા, કઠોળ, શાકભાજી, ઘાસચારો જેવા પાકો માટે નહેરોમા શરૂઆતના તબક્કે પ્રતિદિન ૧૮૦૦ થી ૨ હજાર કયુસેકની ક્ષમતામા પાણી છોડવામા આવ્યુ હતું. તેમ છતાં પિયત માટે પાણીની જરૂરિયાતને ધ્યાને લેતા જથ્થો વધારીને પ્રતિદીન ૨૧૦૦ કયુસેક કરાયો છે.
હાલમાં વણોકબોરીના જળસ્તર ૨૧૮ ફુટ ૬ ઇંચની સપાટીએ હોઇ વિયરમાંથી મુખ્ય બ્રાન્ચ માટે ૪૦૦ કયુસેક, નડિયાદ બ્રાન્ચ માટે ૧૨૫૦ તથા અમદાવાદ જિલ્લા માટે વાયા રાસ્કા વિયર મારફતે દૈનિક ૪૦૦ થી ૪૫૦ કયુસેકની ક્ષમતામા પાણી છોડવામાં આવી રહ્યુ છે.
રવી સિઝનના અંત સુધી પાણી છોડાશે : અધિકારી
અત્યારે શિયાળુ પાકની સિઝન ચાલી રહી હોઇ પિયત માટે નહેરોમા પાણી છોડાયુ છે. પાણીના જથ્થામાં ખેડૂતોની માંગ અને આવશ્યકતા મુજબ વધારો ઘટાડો કરવામા આવે છે. નહેરોમા રવિસિઝન સુધી અર્થાત માર્ચ માસના અંત સુધી પાણી છોડાશે તેમ સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યુ છે.


