Gujarat

આણંદ જિલ્લામાં તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાનો અભાવ

By GS Team
2 Mar 20222 mins read
This article was originally published on 2 Mar 2022
આણંદ જિલ્લામાં તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાનો અભાવ

- મોટા તળાવોની નહીવત સંખ્યાના લીધે

- કેટલાંક વિસ્તાર મહિકેનાલના કાર્યક્ષેત્રમાં આવતા સિંચાઇ નહેરો ઉપર નિર્ભર

વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં ખેતીની વિપુલ અને ઉજળી તકો વચ્ચે જિલ્લામાં મોટા તળાવોના અભાવે તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાનો અભાવ પ્રવર્તી રહ્યો છે. જિલ્લાનો તમામ વિસ્તાર મહિકેનાલોમાં કાર્યક્ષેત્રમા આવતો હોવાથી ખેડૂતો કૃષિસિઝન મુજબ નહેરોમાંથી પાણી મેળવીને પિયતની જરૂરિયાત પૂર્ણ કરે છે.

જિલ્લાની બે લાખ હેક્ટર ઉપરાંતનો સંભવિત વાવેતર વિસ્તાર ધરાવતી કાળી ગોરાડુ જમીનમાં ખેડૂતો વર્ષમાં ત્રણેય રવિ, ઉનાળુ અને ખરીફ સિઝન મુજબ અનાજ-ખાદ્યાન્ન. તેલિબીયા, કઠોળ, તમાકુ, શાકભાજી, ઘાસચારા, ફુલ, ફળ-ફળાદિ પાકોનુ વાવેતર કરે છે. જોકે જિલ્લામા સિંચાઇ થઇ શકે તેવા વિપુલ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા મોટા તળાવોનો અભાવ હોવાથી ખેતીકાર્યો માટે મહિકેનાલો ઉપર નિર્ભર રહેવુ પડે છે. 

નદી ઉપરના કડાણા જળાશયમાંથી વાયા વણાકબોરી વિયર મારફતે ખેતીકાર્યો માટે નહેરોમાં સમયાંતરે પાણી છોડવામા આવતુ હોવાથી ખેડૂતો કૃષિ માટે  પિયતની જરૂરિયાત સંતોષી શકે છે.  ત્યારે બીજી તરફ કેટલાક ચોમાસામાં ઉપરવાસ અને સ્થાનિક કક્ષાએ ઓછા તેમજ નહિવત વરસાદની સ્થિતિએ જળાશયોમા પણ પાણીની પુરતી આવક નહીં થતાં ખેડૂતોને તળાવ આધારિત નાની સિંચાઇ યોજનાના અભાવે ખેતીકાર્યોમા પિયત માટે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 ત્યારે આ અંગે  ફરજ પરના અધિકારીએ જણાવ્યુ કે જિલ્લામાં આવેલા તળાવો નાનાા અને મધ્યમ કક્ષાના હોવા ઉપરાંત તમામ વિસ્તાર મહિ કેનાલના કમાન્ડ એરીયામાં આવતો હોવાથી નાની સિંચાઇ યોજના અમલી નથી. સાથોસાથ તળાવો તાલુકાના કાર્યક્ષેત્રમાં હોવાથી નાના તળાવોની નિયત સંખ્યાની જાણકારી નહીં હોવાનુ તેઓએ જણાવ્યુ હતું.