આણંદ જિલ્લામાં નીટનુ પરિણામ જાહેર થતાં પ્રવેશ પ્રક્રિયામા વેગ વર્તાશે

- વિવિધ ફેકલ્ટીઓમા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે
- ઉંચુ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી, નબળુ રીઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓમાં ગમનો માહોલ
તબીબી,પેરામેડીકલ,નર્સિગ, ફીજીયોથેરાપી, ઓક્યુપેશન થેરાપી જેવી ઉચ્ચ વિદ્યાશાખાઓમા પ્રવેશ માટે મહત્વની ગણાતી નીટ પરીક્ષા ગત ૧૨મી સપ્ટેમ્બરના રોજ આણંદના જુદા-જુદા કેન્દ્રો ઉપર લેવામા આવી હતી. જોકે ચાલુ વર્ષે કોરાનાની મહામારીને લઇને ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ગુજકેટ તેમજ નીટની પરીક્ષાને લઇને એડમીશન પ્રક્રિયામા પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થવા સુધીનો અસહ્ય વિલંબ સર્જાયો છે. સાથોસાથ નીટનુ પરિણામ જાહેર થવાને પણ દોઢ માસ ઉપરાંતનો સમય લાગતા એડમીશન તેમજ ઉચ્ચ કારકિર્દીને લઇને વિદ્યાર્થીઓની સાથોસાથ વાલીઓમાં પણ મુંઝવણ પ્રગટી હતી.
જેમાં ગવર્મેન્ટ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ કેટલીક પ્રાઇવેટ કોલેજોમા પણ કેન્દ્રિય પ્રવેશપદ્ધતિ, મેરીટ બેઇઝ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોઇ નીટના રીઝલ્ટ બાદ એડમીશન મેળવી શકાય તેવા નિયમોને લઇને વિદ્યાર્થીઓ વધુ દ્વિધામા મુકાયા હતા. ત્યારે ગતરોજ પરિણામ જાહેર થતાં એમબીબીએસ, બીએચએમએસ, બીએએમએસ, બીડીએસ, બીપીટી, બીએસસી નર્સિંગ સહિતની ફેકલ્ટીઓમા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે.




