અમરેલીમાં વીજલાઈન અને વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ, રેલી યોજી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Farmers: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ વિવિધ પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ શહેરના મુખ્ય માર્ગો પર સૂત્રોચ્ચાર સાથે વિશાળ રેલી યોજી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની ફળદ્રુપ જમીનોમાંથી પસાર કરવામાં આવતી વીજલાઈન અને ખોડવામાં આવતા થાંભલાઓની કામગીરી સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ખેડૂત અગ્રણીઓના જણાવ્યા મુજબ, ફળદ્રુપ જમીન બગાડવાને બદલે વીજલાઈન પડતર જમીન, દરિયાકાંઠાના વિસ્તાર કે રણમાંથી પસાર કરવી જોઈએ અથવા તેને અંડરગ્રાઉન્ડ કરવી જોઈએ જેથી ખેતીને નુકસાન ન થાય.
યોગ્ય વળતર અને નીતિ-નિયમો સામે રોશ
સરકારના નીતિ-નિયમો અને ખાનગી કંપનીઓની કામગીરી સામે સવાલ ઉઠાવતા ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે તેમને જમીન અને નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી. ખાનગી કંપનીઓના લાભાર્થે ખેડૂતોની જમીનનો ઉપયોગ થતો હોવાનો આક્રોશ વ્યક્ત કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ અશોક હિરાણીએ જમાવ્યું હતું કે, આજ આ અમરેલી જિલ્લાના દરેક ગામડેથી ખેડૂતો આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે, જે કારણ વગરના જે થાંભલા ફળદ્રુપ જમીનમાં નાખે છે, એના હિસાબે આ જગતના તાતને આજે અહીંયા કલેક્ટર કચેરીના દર્શન કરવા આવવું પડ્યું. ખેતરમાં વીજ લાઇન આવવી જ ન જોઈએ. પડખે પડતર જમીનો છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખો. જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે. જેથી કરીને અમને નડતરરૂપ ન થાય.'
ખેડૂતોએ એ પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની વાજબી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.









