અમદાવાદના ધોળકામાં પાણીના પ્રવાહમાં તરતાં ચાર મૃતદેહો મળી આવતા તંત્રમાં દોડધામ મચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rain: અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઠેર-ઠેર પાણી ભરાવાના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દરમિયાન ધોળકામાંથી એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પાણીના ભારે પ્રવાહમાં બે અલગ-અલગ જગ્યાએથી 4 લોકોના મૃતદેહો તણાઈ આવ્યા છે.
જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા મૃતદેહ
તાજેતરમાં ધોળકા શહેરના બલાસ ચોકડી અને ફુલન સર્કલ વિસ્તારમાંથી પસાર થતા પાણીના ભારે પ્રવાહમાંથી વધુ બે લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ પણ પૂરના વહેણમાં તણાઈને આવેલા બે અજાણ્યા પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં એક મૃતદેહ કલીકુંડ વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યાલય પાસેથી અને બીજો મૃતદેહ મફલીપુર નજીકથી મળી આવ્યો હતો. સ્થાનિક રહીશોએ પાણીમાં મૃતદેહ જોતાં જ તુરંત જ પોલીસ તંત્રને આ અંગે જાણ કરી હતી.
સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ, પોલીસ તપાસ શરૂ
શહેરના ચાર અલગ-અલગ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ચાર મૃતદેહો મળી આવતાં સ્થાનિકોમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમા છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચારેય મૃતદેહોનો કબજો મેળવ્યો હતો અને તેમને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. મૃતકોની ઓળખ છતી કરવા અને આગળની કાયદેસરની કામગીરી હાથ ધરવા માટે પોલીસે વધુ તપાસ આદરી છે.









