અમદાવાદના હાથીજણ સ્થિત રામદેવજી-નેતલ દેનું એકમાત્ર મંદિર, અષાઢી બીજે હજારોની સંખ્યામાં ઉમટ્યા ભક્તો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hathijan Ramdevpir Netal De Temple Ahmedabad: અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું જેટલું ભવ્ય મહત્ત્વ છે, તેટલું જ અનેરું મહત્ત્વ અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલા લાલગેબી આશ્રમ સ્થિત રામદેવપીર મહારાજના મંદિરે દર્શન કરવાનું છે. સમગ્ર ગુજરાતમાં આ એકમાત્ર એવું પવિત્ર સ્થાનક માનવામાં આવે છે જ્યાં રામદેવપીર અને માતા નેતલ દે એકસાથે બિરાજમાન છે. વર્ષની તમામ 12 બીજમાં અષાઢી બીજને સૌથી મોટી બીજ માનવામાં આવે છે, જેથી આજના દિવસે અહીં દર્શન કરવાનો લ્હાવો અતુલ્ય છે.

નવગ્રહ મંદિર અને અનોખી માન્યતાઓ
હાથીજણ ગામના આ પરિસરમાં રામદેવપીરના મંદિરની સાથે ભવ્ય નવગ્રહ મંદિર પણ આવેલું છે. લોકવાયકા અનુસાર, જે ભક્તો અહીં આવીને સાચા મનથી માનતા રાખે છે તેમની મનોકામનાઓ ચોક્કસ પૂર્ણ થાય છે. ભક્તો માનતા પૂરી થવા પર બાબા રામદેવપીરને સાકરનો પ્રસાદ, શ્રીફળ અને કાપડના ઘોડા અર્પણ કરે છે. શ્રદ્ધાળુઓ કષ્ટ નિવારણ માટે 12 બીજ ભરવાની માનતા રાખે છે અને ઘણા ભક્તો તો દૂર-દૂરથી પદયાત્રા કરીને પણ અહીં આવે છે.

ભક્તિ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ
દર વર્ષે સામાન્ય બીજના દિવસે પણ અહીં 20 થી 30 હજાર જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટે છે, પરંતુ અષાઢી બીજ સૌથી મોટી હોવાથી આજે હજારોની મેદની જામી છે. તમામ ધર્મના લોકોને સન્માનપૂર્વક દર્શન થાય તે માટે આશ્રમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે.

ગુજરાતભરમાંથી આવતા ભક્તો માટે અહીં મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરમાં ભક્તિની સાથે ભજનનો પણ અનોખો સંગમ જોવા મળે છે. સવારે સત્સંગ હોલમાં ભજનિકો દ્વારા ભક્તિરસના સૂર રેલાવવામાં આવે છે, જ્યારે રાત્રે ભવ્ય લોક ડાયરાની મોજ જામશે. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ અને ચુસ્ત સિક્યોરિટી પણ તૈનાત કરવામાં આવી છે.
મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ
આ પવિત્ર ભૂમિનો ઇતિહાસ ગુજરાતના મહાન સંત લાલ બાપા સાથે જોડાયેલો છે. ભ્રમણ કરતાં-કરતાં લાલ બાપા જ્યારે અમદાવાદના હાથીજણ ગામે પધાર્યા, ત્યારે સ્થાનિક ઠાકોર-ક્ષત્રિય સમાજના લોકોએ તેમને અહીં જ રોકાઈ જવા આહવાન કર્યું હતું. ત્યારબાદ, વર્ષ 1972 માં અહીં 'લાલગેબી અમરધામ આશ્રમ' નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને રામદેવપીરના મંદિરની સ્થાપના કરવાનો સંકલ્પ લેવાયો. ત્યારથી લઈને આજદિન સુધી આસ્થાનું આ કેન્દ્ર લાખો ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે.











