Ahmedabad

નેપાળ જળપ્રલયની ઘટનામાં મૃતકોની ઓળખ માટે NFSU મદદે આવ્યું

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં જળપ્રલયથી 700થી વધુ લોકોના મોત અને હજારો લાપત્તા થતા, મૃતદેહોની ઓળખ માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની 10 સભ્યોની ટીમ, DNA ફોરેન્સિક હેડ ડૉ. ભાર્ગવ પટેલની આગેવાનીમાં, નેપાળ રવાના થઈ છે. આ ટીમ અત્યાધુનિક સાધનોથી DNA સેમ્પલ મેચ કરીને મૃતકોની ઝડપી ઓળખ કરશે, જેથી પરિવારજનોને સમયસર મૃતદેહ સોંપી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળ જળપ્રલયની ઘટનામાં મૃતકોની ઓળખ માટે NFSU મદદે આવ્યું

Nepal Flash Flood News : નેપાળમાં બનેલી જળપ્રલયની ઘટનામાં હજારો લોકો લાપત્તા થયા છે અને મોટી સંખ્યામાં મોત પણ નીપજ્યા છે. ત્યારે મૃતકોની ઓળખ ઝડપથી થઇ શકે અને મૃતદેહ તેમના પરિવારજનોને સમયસર સોંપી શકાય તે માટે ભારત સરકારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને મહત્વની જવાબદારી સોંપી છે. જે અંતર્ગત ડીએનએ ફોરેન્સિક હેડની અધ્યક્ષતામાં 10 સભ્યોની ટીમ નેપાળ જવા માટે રવાના થઇ છે. જે ડીઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટિફિકેશનની પદ્ધતિથી અત્યાધુનિક સાધનોની મદદથી કામગીરી કરશે.

નેપાળ-ચીન સરહદ પર તિબેટ પાસે ગ્લેશિયર તુટવાથી જળપ્રલયની ઘટનામાં હજારો લોકો લાપત્તા થયા છે અને અત્યાર સુધી 700 થી વધુ લોકોના મોત થયાની પુષ્ટી થઇ છે. ત્યારે રેસક્યુ ઓપરેશન લાંબો સમય ચાલી શકે તેમ છે અને મોટા પ્રમાણમાં હજુ પણ મૃતદેહો મળશે. ત્યારે મૃતકોની ઓળખ કરવી તે તંત્ર માટે સૌથી મહત્વનું કામ છે. જે અનુસંધાનમાં ભારત સરકાર નેપાળ સરકારની મદદમાં આવી છે. જે અંતર્ગત દુનિયાની એકમાત્ર નેશનલ ફોરેન્સિક સાયન્યસ યુનિવર્સિટી દ્વારા ડીએનએ ફોરેન્સિક ડીપાર્ટમેન્ટના હેડ ડૉ. ભાર્ગવ પટેલની અધ્યક્ષતામાં ૧૦ સભ્યોની ટીમ નેપાળ મોકલવામાં આવી છે. જે ડીઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટિફિકેશનની કામગીરી કરશે. જેના કારણે મૃતકોની ઓળખ ઝડપથી થઇ શકશે. જેમાં ઘટના સ્થળેથી મૃતકોના ડીએનએ સેમ્પલ લઇને તેને પરિવારના સભ્યો સાથે મેચ કરીને આ કામગીરી કરવામાં આવશે. એનએફએસયુ દ્વારા કામગીરી અનુસંધાનમાં વધુ સભ્યો પણ મોકલવામાં આવશે.
આ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં બાદ મૃતકોની ઓળખની કામગીરી માત્ર 10 દિવસમાં જ કરવામાં આવી હતી. આ ઉપરાંત,અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ સાથે મળીને એનએફએસયુએ બીજા વિશ્વ યુદ્ધમાં ગુમ થયેલા સૈનિકોને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ત્રણ સૈનિકોની ઓળખ કરવામાં નોંધનીય સફળતા મળી છે.

ડિઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટીફિકેશન શુ છે?

ડીઝાસ્ટર વિક્ટીમ આઇડેન્ટીફિકેશનએ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની વૈજ્ઞાાનિક અને ચોક્કસ ઓળખ કરવાની એક સિસ્ટમ છે. જાણીતી સંસ્થા ઇન્ટરપોલ દ્વારા આ સિસ્ટમની સમગ્ર ગાઇડલાઇન નક્કી કરવામાં આવી છે. જેમાં ચાર મહત્વના તબક્કા છે. પ્રથમ તબક્કામાં ઘટના સ્થળેથી મૃતદેહોના અવશેષોનું મેપીંગ, પુરાવા, ફોટોગ્રાફી કરવામાં આવે છે. બીજા તબક્કામાં મૃતદેહોની મેડીકલ તપાસ કરીને ફિંગર પ્રિન્ટસ, ડેન્ટલ રેકોર્ડ, ડીએનએ સેમ્પલ અને શરીર પરના નિશાનની વિગતો લેવામાં આવે છે. ત્રીજા તબક્કામાં ગુમ થયેલા લોકોના પરિવારજનોના ડીએનએ સેમ્પલ, ફિંગર પ્રિન્ટ સહિતની વિગતો એકઠી કરવામાં આવે છે અને ચોથા તેમજ છેલ્લાં તબક્કામાં મૃતકના ડીએનએ તેમના પરિવારજનો સાથે મેચ કરવાની કામગીરી કરવામાં આવે છે. જેના પરિણામો ૧૦૦ ટકા સુધી આવે છે.