Ahmedabad

અમદાવાદ FSLનો ચોંકાવનારો ખુલાસો: 50 ટકાથી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યા!

By GS Team
22 Aug 20267 mins read
TukuTouch Logo
ભાવનગરમાં નકલી દારૂકાંડમાં 11 લોકોના મોત બાદ અમદાવાદ FSLનો ચોંકાવનારો ખુલાસો થયો છે. FSLના ટોક્સિકોલોજી વિભાગ મુજબ, પરીક્ષણ કરાયેલા 50%થી વધુ દારૂના સેમ્પલમાં ઔદ્યોગિક કેમિકલ્સ મળી આવ્યા છે. નફાખોરી માટે સસ્તા દારૂમાં ભેળસેળ કરીને તેને મોંઘા દારૂ જેવો બનાવાય છે. આ કેમિકલ્સ માનવ શરીર માટે અત્યંત જોખમી છે, જે ગંભીર બીમારીઓ નોતરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ FSLનો ચોંકાવનારો ખુલાસો: 50 ટકાથી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યા!

Ahmedabad FSL Spurious Liquor Chemical Analysis Report: ગુજરાતના ભાવનગરમાં નકલી દારૂકાંડમાં 11 લોકોના મોત નીપજ્યા છે, ત્યારે ભાવનગર ઝેરી દારૂકાંડના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. તેવામાં અમદાવાદની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં FSL ટોક્સિકોલોજી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરીક્ષણ માટે મોકલવામાં આવેલા દારૂના 50 ટકાથી વધુ સેમ્પલમાં ઔદ્યોગિક કેમિકલ્સ મળી આવ્યું છે. સસ્તા દારૂમાં ભેળસેળ કરીને તેને મોંઘા દારૂ જેવો બનાવવા માટે હાનિકારક ઔદ્યોગિક કેમિકલ્સના વધતા ઉપયોગ સામે અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે.

અમદાવાદ FSLનો ચોંકાવનારો ખુલાસો

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રવૃત્તિ મુખ્યત્ત્વે નફાખોરીના હેતુથી કરવામાં આવે છે. ગેરકાયદે દારૂના વેપારીઓ મોંઘી બ્રાન્ડ્સના સ્વાદ અને સુગંધની નકલ કરવા માટે કેમિકલ પદાર્થો અને ફ્લેવરિંગ એજન્ટ્સનો ઉપયોગ કરે છે અને કેટલાક કિસ્સાઓમાં આ ભેળસેળયુક્ત દારૂને મોંઘી બ્રાન્ડ્સની ફેંકી દીધેલી અથવા નકલી બાટલીઓમાં ભરીને ઊંચી કિંમતે વેચે છે.

50 ટકાથી વધુ દારૂના સેમ્પલમાં જીવલેણ ઔદ્યોગિક કેમિકલ્સ મળ્યા!

આ તારણ ખૂબ મહત્ત્વનું છે કારણ કે, અમદાવાદ FSL દર વર્ષે પોલીસ એજન્સીઓ દ્વારા મોકલવામાં આવતા દારૂ સંબંધિત લગભગ 8,000 સેમ્પલની તપાસ કરે છે. આ સેમ્પલ્સ પ્રોહિબિશન (દારૂબંધી)ના દરોડા અને શંકાસ્પદ ગેરકાયદે, ભેળસેળયુક્ત કે ઝેરી દારૂના કિસ્સાઓમાંથી આવે છે. જો કે, મિથેનોલને ઝેરી દારૂ સાથે સંકળાયેલ મુખ્ય ઝેરી પદાર્થ તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે, પરંતુ ફોરેન્સિક નિષ્ણાતો કહે છે કે આ સમસ્યા તેના કરતાં ઘણી વધુ વ્યાપક છે.

ટોક્સિકોલોજી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, "માત્ર મિથેનોલ જ ચિંતાનો વિષય નથી. અન્ય કેમિકલ્સ પણ દારૂને જોખમી બનાવી શકે છે. જેમાં ખાસ કરીને જ્યારે તે એવી પ્રમાણમાં ઉમેરવામાં આવે જે માનવ વપરાશ માટે યોગ્ય ન હોય."

'આરોગ્યના ભોગે સસ્તા દારૂને મોંઘી બ્રાન્ડ જેવો સ્વાદિષ્ટ બનાવાય છે'

FSL અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેમિકલની ભેળસેળ પાછળનો ઉદ્દેશ્ય ઘણીવાર એકદમ સરળ હોય છે. જેમાં સસ્તા દારૂનો સ્વાદ અને સુગંધ મોંઘી પ્રોડક્ટ જેવા બનાવવાનો. આ કેમિકલ્સ દારૂનું પ્રમાણ વધારવા માટે જ ઉમેરવામાં આવે તે જરૂરી નથી. તેના બદલે, કેટલાક કેમિકલ્સનો ઉપયોગ ફ્લેવરિંગ અથવા એરોમા કોમ્પાઉન્ડ તરીકે ચોક્કસ પ્રકારના પ્રીમિયમ દારૂની લાક્ષણિકતાઓ લાવવા માટે થાય છે. આથી, જે દારૂ સસ્તો અથવા ગેરકાયદે રીતે બનાવાયો હોય તેને ફ્રુટી, વેનીલા, સાઇટ્રસ, મસાલેદાર, વુડી અથવા સ્મોકી પ્રોફાઇલ આપીને પ્રીમિયમ પ્રોડક્ટ તરીકે માર્કેટમાં વેચવામાં આવે છે.

અધિકારીઓએ જણાવ્યું કે, જાણીતી બ્રાન્ડ્સના લેબલવાળી બોટલોમાં ફરીથી દારૂ ભરવાની પ્રવૃત્તિ પણ થતી હોવાની શંકા છે. આનાથી અજાણ્યા ગ્રાહક માટે માત્ર પેકેજિંગ જોઈને તેની સાચી વસ્તુ ઓળખવી મુશ્કેલ બને છે. આમાં આર્થિક ફાયદો ખૂબ મોટો છે. એકવાર સસ્તું પ્રવાહી મોંઘી બ્રાન્ડ જેવું દેખાવા લાગે પછી તેને ઘણી ઊંચી કિંમતે વેચી શકાય છે.

અન્ય કેમિકલ્સ પણ શરીરને નુકસાન પહોંચાડી શકે

આઇસોપ્રોપિલ આલ્કોહોલ એવું જ એક ઔદ્યોગિક સોલ્વન્ટ છે જે મોટી માત્રામાં પીવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે. તે ઝડપી નશો, ગભરાટ, બ્લડ પ્રેશરમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં બેભાનતા તથા હૃદય-શ્વસનતંત્ર નિષ્ફળ થવાનું કારણ બની શકે છે. તે પેટ અને આંતરડામાં બળતરા ઉત્પન્ન કરીને પેટમાં દુખાવો અને ઉલટી પણ કરાવી શકે છે.

અન્ય વ્યાપકપણે વપરાતું ઔદ્યોગિક કેમિકલ 'એસીટોન' ઉચ્ચ સ્તરે સંપર્કમાં આવવાથી ચેતાતંત્ર અને શ્વસનતંત્રને અસર કરી શકે છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવો, ઉબકા, મુંઝવણ અને બેભાન થવાનો સમાવેશ થાય છે. જ્યારે વધુ પડતા સંપર્કથી આંખો, નાક, ગળું અને ફેફસાંમાં બળતરા પણ થઈ શકે છે.

  • મિથાઇલ ઇથાઇલ કીટોન(MEK) એક ઔદ્યોગિક સોલ્વન્ટ છે જે વધુ પડતા સંપર્ક બાદ બળતરા, ચક્કર અને ઘેન(ઊંઘ) લાવી શકે છે. લાંબા સમય સુધી આના સંપર્કમાં રહેવાથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર અસર થાય છે.
  • ઇથાઇલ એસિટેટ (Ethyl acetate) અલગ ચિત્ર રજૂ કરે છે. તે કેટલાક આથો લાવેલા પીણાંમાં કુદરતી રીતે જોવા મળે છે અને ફળો જેવી સુગંધ આપે છે. પરંતુ આ ઔદ્યોગિક સોલ્વન્ટના વધુ પડતા સંપર્કથી આંખો, નાક, ગળું અને શ્વસનતંત્રમાં બળતરા થઈ શકે છે અને ચેતાતંત્રને અસર થઈ શકે છે.

આમાંથી કોઈ એક પદાર્થની હાજરીનો અર્થ એ નથી કે દારૂનો સેમ્પલ આપમેળે નકલી કે ઝેરી બની જાય છે. ટોક્સિકોલોજિસ્ટે કોઈ ચોક્કસ પદાર્થનું મહત્ત્વ નક્કી કરતા પહેલા તેની સમગ્ર રાસાયણિક રચના અને પ્રમાણની તપાસ કરવી પડે છે.

પ્રીમિયમ દારૂની 'લાક્ષણિકતા' ફરીથી બનાવવા વપરાતા કેમિકલ્સ

FSL અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક કેમિકલ્સ ચોક્કસ સુગંધ અને સ્વાદની લાક્ષણિકતાઓ ફરીથી ઉત્પન્ન કરી શકે છે.

  • ઉદાહરણ તરીકે, ઇથાઇલ એસિટેટ ફળો અને મીઠી નોટ્સ સાથે જોડાયેલું છે.
  • આઇસોએમાઇલ એસિટેટ કેળા જેવી સુગંધ સાથે
  • ઇથાઇલ બ્યુટીરેટ ફ્રુટી કે અનાનસ (પાઈનેપલ) સાથે
  • વૅનિલિન તથા ઇથાઇલ વૅનિલિન વેનીલાની લાક્ષણિકતાઓ સાથે જોડાયેલું છે
  • અન્ય ફ્લેવર કોમ્પાઉન્ડ્સ સાઇટ્રસ (લીંબુ/સંતરા), ફ્લોરલ (ફૂલો), વરિયાળી, લવિંગ, તજ, સ્મોકી કે વુડી નોટ્સ ઉત્પન્ન કરી શકે છે.

આ કેમિકલ્સનો ઉપયોગ ફૂડ, ફ્લેવર, ફાર્માસ્યુટિકલ, કોસ્મેટિક અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં કાયદેસર રીતે થાય છે. તેથી માત્ર સેમ્પલમાં તેમની હાજરીથી ગેરકાયદે ઉત્પાદન સાબિત થતું નથી. ચિંતા ત્યારે ઊભી થાય છે જ્યારે આવા પદાર્થોનો માનવ વપરાશ માટેના દારૂમાં અયોગ્ય રીતે અથવા અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

જ્યારે બોટલ FSLમાં પહોંચે છે ત્યારે શું થાય છે?

પોલીસ અધિકારીઓ માટે પ્રોહિબિશનના દરોડા દરમિયાન જપ્ત કરાયેલી બોટલ માત્ર શંકાસ્પદ દારૂ હોઈ શકે છે. પરંતુ FSLમાં તેના ઘટકોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવે છે. કેસના આધારે લેબોરેટરી ઇથેનોલ અને મિથેનોલ, આલ્કોહોલની સાંદ્રતા, ટર્બિડિટી (કાંપ/ધૂંધળાપણું), સુગર કન્ટેન્ટ અને અન્ય કેમિકલ પરિમાણો માટે પરીક્ષણો કરે છે. આનો હેતુ માત્ર પ્રવાહીમાં આલ્કોહોલ છે કે નહીં તે સ્થાપિત કરવાનો નથી. વિજ્ઞાનીઓ તેની રાસાયણિક રચના નક્કી કરવાનો અને તેને અસુરક્ષિત બનાવી શકે તેવા પદાર્થોને ઓળખવાનો પણ પ્રયાસ કરે છે.

વાર્ષિક તપાસવામાં આવતા લગભગ 8,000 દારૂ સંબંધિત સેમ્પલ્સમાંથી અધિકારીઓએ જણાવ્યું કે 50 ટકાથી વધુમાં કેમિકલ્સ હોય છે, જે લેબોરેટરીને મળેલા સેમ્પલ્સમાં ડિટેક્ટ થયેલી કેમિકલ ભેળસેળનું મોટું પ્રમાણ દર્શાવે છે.

મિથેનોલ હજુ પણ મુખ્ય ચિંતાનો વિષય

મિથેનોલ એક ઔદ્યોગિક આલ્કોહોલ છે અને તે માનવ વપરાશ માટે નથી. દારૂમાં તેની હાજરી ખાસ કરીને ખતરનાક છે કારણ કે તેનું ઝેર શરૂઆતમાં સામાન્ય નશા તરીકે ભૂલથી સમજી શકાય છે. મિથેનોલનું ઝેર ઉબકા, ઉલટી અને પેટમાં સખત દુખાવો ઉત્પન્ન કરી શકે છે. જેમ જેમ આ કેમિકલ શરીરમાં ચયાપચય થાય છે, તેમ તે ગંભીર મેટાબોલિક એસિડોસિસ તરફ દોરી જાય છે અને ગંભીર કિસ્સાઓમાં લો બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, કિડની ફેલ્યોર અને અન્ય અંગોને નુકસાન પહોંચાડે છે.

ભારતમાં મિથેનોલ પોઇઝનિંગના કિસ્સાઓના ફોરેન્સિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગંભીર એસિડોસિસ શ્વસનતંત્ર નિષ્ફળ જવા તરફ દોરી જાય છે. કેટલાક જીવલેણ કિસ્સાઓમાં મગજમાં સોજો, કિડની ફેલ્યોર અને આંતરિક અંગોને નુકસાન પણ જોવા મળ્યું છે. પરંતુ ટોક્સિકોલોજી નિષ્ણાતો ચેતવણી આપે છે કે માત્ર મિથેનોલ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાથી અન્ય જોખમો છુપાઈ શકે છે.

સ્કેનર હેઠળ સરળ ઉપલબ્ધતા

FSL ટોક્સિકોલોજી વિભાગે ઔદ્યોગિક કેમિકલ્સની સરળ ઉપલબ્ધતા પર નજર રાખવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો છે, જે સંભવિતપણે ગેરકાયદે દારૂના વેપારમાં ડાયવર્ટ થઈ શકે છે. આમાંથી ઘણા પદાર્થો ઔદ્યોગિક હેતુઓ માટે કાયદેસર રીતે ઉત્પાદિત અને વેચવામાં આવે છે, જેમના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો વ્યવહારુ કે ઇચ્છનીય નથી. જો કે, અધિકારીઓ માને છે કે તેમના વેચાણ, પરિવહન, સંગ્રહ અને અંતિમ ઉપયોગ પર વધુ સારા મોનિટરિંગથી તેનો ગેરકાયદેસર ડાયવર્ઝન રોકવામાં મદદ મળી શકે છે. આ ચિંતા ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે ઔદ્યોગિક ઉપયોગ માટેના કેમિકલ્સ આખરે લોકો દ્વારા પીવાતા ઉત્પાદનોમાં ભળી જાય છે.

અસલી બોટલમાં નકલી પ્રવાહી હોય શકે

ફોરેન્સિક વિજ્ઞાનીઓનું કહેવું છે કે, ગેરકાયદે દારૂનો કાળો કારોબારની વધતી જટિલતાનો અર્થ એ છે કે ગ્રાહકો બોટલના દેખાવ, લેબલ, ગંધ કે સ્વાદ પર ભરોસો રાખી શકતા નથી. ફેંકી દીધેલી પ્રીમિયમ-દારૂની બોટલને ફરીથી ભરી શકાય છે, જ્યારે મૂળ ઉત્પાદન સાથે સંકળાયેલી સુગંધ અને સ્વાદની નકલ કરવા માટે ફ્લેવરિંગ એજન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે.

લેબોરેટરીનું પૃથ્થકરણ તપાસકર્તાઓને જપ્ત કરાયેલા સેમ્પલમાં વાસ્તવમાં શું હાજર હતું અને પ્રવાહીમાં સુરક્ષા ચિંતાઓ ઊભી કરે તેવા પદાર્થો હતા કે નહીં તે અંગેના વૈજ્ઞાનિક પુરાવા પૂરા પાડી શકે છે. દર વર્ષે અમદાવાદ FSLમાં લગભગ 8,000 દારૂ સંબંધિત સેમ્પલ પહોંચતા હોવાથી, ટોક્સિકોલોજી નિષ્ણાતો કહે છે કે મેસેજ સ્પષ્ટ છે. ઝેરી દારૂ દ્વારા ઊભું થયેલું જોખમ એ માત્ર મિથેનોલની જ સમસ્યા નથી.

સસ્તો આલ્કોહોલ, રાસાયણિક ભેળસેળ અને નકલી ફ્લેવર પ્રોફાઇલનું મિશ્રણ એક દેખીતી રીતે પ્રીમિયમ પીણાને સંભવિતપણે જોખમી મિશ્રણમાં બદલી શકે છે. નિષ્ણાતો કહે છે કે, સત્તાવાળાઓ માટે આ સમસ્યાને પહોંચી વળવા માટે માત્ર જપ્તી અને ધરપકડ જ નહીં, પરંતુ ગેરકાયદે દારૂની સપ્લાય ચેઇનમાં ડાયવર્ટ થઈ શકતા ઔદ્યોગિક કેમિકલ્સ પર પણ નજીકથી નજર રાખવી જરૂરી બનશે.