Ahmedabad

'પહેલા સાબરમતીમાં પાણી રોકી રાખ્યું અને પછી...' તંત્રએ જાણીજોઈને અમદાવાદ ડૂબાડ્યું? કોંગ્રેસનો વેધક સવાલ

By GS Team
18 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ પર કોંગ્રેસે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે, વાસણા બેરેજમાં 136.50 ફૂટ સુધી પાણી ભરાયું હતું. 'સાહેબની વર્ષગાંઠ' નિમિત્તે સાબરમતી બે કાંઠે છલોછલ દેખાય તે માટે નર્મદા કેનાલમાંથી પાણી છોડી જળસ્તર વધારાયું. કોંગ્રેસે આ ઘટનાને 'માનવસર્જિત આફત' ગણાવી જવાબદારી નક્કી કરવાની માંગ કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

'પહેલા સાબરમતીમાં પાણી રોકી રાખ્યું અને પછી...' તંત્રએ જાણીજોઈને અમદાવાદ ડૂબાડ્યું? કોંગ્રેસનો વેધક સવાલ

Ahmedabad Rain and Congress News : અમદાવાદમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે સાબરમતી નદીના જળસ્તર અને વાસણા બેરેજના સંચાલનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસે આ સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કૉંગ્રેસના આક્ષેપ મુજબ, ભારે વરસાદની આગાહી હોવા છતાં સાબરમતી નદીનું જળસ્તર ઘટાડવાને બદલે વાસણા બેરેજમાં પાણીનું લેવલ 136.50 ફૂટ સુધી પહોંચાડવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના જણાવ્યા મુજબ, એક તરફ ભારે વરસાદ દરમિયાન સાબરમતીનું લેવલ 129 ફૂટથી વધુ ન વધારવાની વાત કરવામાં આવે છે, તો બીજી તરફ આટલું ઊંચું લેવલ કેમ જાળવવામાં આવ્યું તે અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી જોઈએ.

‘કોને ખુશ કરવા સાબરમતીમાં પાણી ભરાયું’?

કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, રાજ્યમાં એક તરફ પાણીની અછતની સ્થિતિ છે, ત્યારે નર્મદા કેનાલમાંથી સાબરમતી નદીમાં પાણી છોડીને નદીનું જળસ્તર વધારવામાં આવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, ‘સાહેબની વર્ષગાંઠ’ નિમિત્તે સાબરમતી નદી બે કાંઠે છલોછલ દેખાય તે માટે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

વાસણા બેરેજમાં કેમ પાણીનો સંગ્રહ કરાયો?

કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે, જ્યારે ભારે વરસાદની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી ત્યારે બેરેજમાં આટલું પાણી શા માટે સંગ્રહ કરવામાં આવ્યું? જો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પાણી નદીમાં છોડવાનું જ હતું તો તેને અગાઉથી તબક્કાવાર છોડીને બેરેજનું લેવલ ઘટાડવામાં કેમ ન આવ્યું?

‘અધિકારીઓની બેદરકારીથી માનવસર્જિત આફત’

આક્ષેપ મુજબ, ભારે વરસાદ દરમિયાન એક તરફથી વરસાદી પાણી અમદાવાદમાં આવતું રહ્યું અને બીજી તરફ વાસણા બેરેજમાંથી પાણી છોડવાની સ્થિતિ ઊભી થઈ. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનો તેમણે દાવો કર્યો. તેમણે સમગ્ર ઘટનાને ‘અધિકારીઓની બેદરકારીના કારણે સર્જાયેલી માનવસર્જિત આફત’ ગણાવી અને પાણીના સંચાલન અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી.

ભૂતકાળની ઘટનાઓમાંથી તંત્રએ બોધપાઠ લેવો જોઈએ

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ નર્મદા ડેમમાંથી પાણી છોડવાના ભૂતકાળના બનાવોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, પાણી છોડતા પહેલાં નીચાણવાળા વિસ્તારો અને ગામડાઓ પર તેની અસર અંગે પૂરતું આયોજન જરૂરી છે. વાસણા બેરેજમાંથી એકસાથે પાણી છોડવાના કારણે પાછળના ગામો અને વિસ્તારોમાં પણ નુકસાનનું જોખમ ઊભું થયું છે.

સત્તાધીશોના નિર્ણય સામે ગુજરાત કૉંગ્રેસના સવાલ

કોંગ્રેસ દ્વારા હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, ભારે વરસાદની આગાહી હોવા છતાં વાસણા બેરેજનું લેવલ 136.50 ફૂટ સુધી કેમ જાળવવામાં આવ્યું, નર્મદા કેનાલમાંથી સાબરમતીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડવા અંગે નિર્ણય કયા સ્તરે લેવામાં આવ્યો? આ મુદ્દે રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત જળસંપત્તિ વિભાગ તરફથી સત્તાવાર સ્પષ્ટતા શું આવે છે તેના પર સૌની નજર છે.

નોંધનીય છે કે, તાજેતરમાં ભારે વરસાદ દરમિયાન પણ વાસણા બેરેજનું લેવલ ઘટાડવામાં વિલંબ અંગે સવાલો ઉઠ્યા હતા. એક અહેવાલ મુજબ, ભારે વરસાદની આગાહી હોવા છતાં શરૂઆતમાં બેરેજના મર્યાદિત દરવાજા ખોલવામાં આવ્યા હતા અને બાદમાં વધુ દરવાજા ખોલવામાં આવ્યા હતા.