VIDEO: અમદાવાદમાં તળાવોની સફાઈ માત્ર નાટક, વર્ષે 7થી 8 કરોડનો ધુમાડો છતાં ગંદકીનું સામ્રાજ્ય, કમિટી ચેરમેને અધિકારીઓને તતડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Lake Cleaning Fund Waste: અમદાવાદમાં તળાવોની સફાઈ અને જાળવણી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા દર વર્ષે અંદાજે 7થી 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં શહેરના મોટાભાગના તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચોમાસા દરમિયાન તળાવોમાં ઘાસ ઉગી જવા, લીલ જામી જવી અને મચ્છરોનો ઉપદ્રવ વધવા છતાં સમયસર સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં આવતો ન હોવાની સ્થિતિ સામે આવી છે.
અમદાવાદમાં તળાવોની સફાઈ પાછળ વર્ષે 7થી 8 કરોડનો ધુમાડો
કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દિપકકુમાર પંચાલે કરેલા તળાવોના રાઉન્ડમાં જ અનેક તળાવોની આવી સ્થિતિ જોવા મળતાં તળાવોની સફાઈ પાછળ થતા કરોડોના ખર્ચ સામે સવાલો ઉભા થયા છે. આ બાબતે કમિટીના ચેરમેને અધિકારીઓનો તળાવની સફાઈ બાબતે ઉધડો લીધો હતો.

તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય
કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, 'મારા રાઉન્ડ દરમિયાન ઘણા બધા તળાવોમાં જોયું કે વરસાદ દરમિયાન ઘાસ ઉગી ગયું છે અને ઘણી જગ્યાએ મચ્છરોનો ઉપદ્રવ પણ છે. આ અંગે અધિકારીઓને વીડિયો અને ફોટા બતાવવામાં આવ્યા હતા. આરસી ટેક્નિકલ તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો ન હતો. જ્યારે યદુડી તળાવમાં ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં પણ ઘાસ કાપવામાં આવ્યું નથી. ચેનપુર તળાવમાં પણ ઘાસ ઉગી ગયું છે. તળાવોની સફાઈ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.'
એક તરફ ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે કોર્પોરેશનનું હેલ્થ ખાતું શહેરભરમાં કન્સ્ટ્રક્શન સાઇટ અને કોમર્શિયલ એકમોની તપાસ કરે છે. મચ્છરના પોરા મળી આવે તો સંબંધિત એકમોને લાખો રૂપિયાનો દંડ ફટકારવા ઉપરાંત સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ, કોર્પોરેશનના પોતાના તળાવોમાં જ ઘાસ, લીલ અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળતો હોવા છતાં સફાઈ અને દવાના છંટકાવમાં બેદરકારી સામે આવી છે.
કોર્પોરેશન તંત્ર ખાનગી મિલકતોમાં મચ્છરના પોરા શોધીને દંડાત્મક કાર્યવાહી કરે છે, પરંતુ શહેરના તળાવોમાં જ મચ્છરોના પેદા થવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાય તો તેને દૂર કરવામાં બેદરકારી કેમ રાખવામાં આવી રહી છે તેવો સવાલ હવે ઉઠી રહ્યો છે. તળાવોની સફાઈ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં ચોમાસામાં તળાવોની આવી સ્થિતિ સામે આવતાં સફાઈના કોન્ટ્રાક્ટ અને તેની કામગીરીની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે. તળાવોની આસપાસ રહેતા લોકોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે પરેશાની વધી છે.




