અમદાવાદ: 'અમારા મહોલ્લામાં કેમ આવે છે?', બોલતાં જ પાડોશીએ લીધો બદલો, ઘરમાંથી 6.56 લાખના દાગીના ગાયબ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના રામોલના સિંધવાઈ ગામમાં ‘અમારા મોહલ્લામાં કેમ આવે છે’ કહીને ટોકનારા પડોશી સાથે અદાવત રાખીને સબક શીખવાડવા માટે એક સગીરા અને તેના મિત્રે મળીને ઘરમાંથી 6.56 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે રામોલ પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી પ્રશાંત ઠાકોરની અટકાયત કરી છે, જ્યારે ચોરીમાં સામેલ સગીરાને નજરકેદ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
તિજોરીમાંથી રૂ. 6.56 લાખના દાગીના ગાયબ થતાં ભાંડો ફૂટ્યો
મળતી માહિતી અનુસાર, રામોલના સિંધવાઈ ગામમાં રહેતા વિનય ભરવાડના ઘરમાં ગઈ ચોથી ઓગસ્ટના રોજ લાઈટ બિલ ભરવા માટે તિજોરીમાંથી પૈસા કાઢતી વખતે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. વિનયે તેની પત્નીને પૈસા કાઢવા કહ્યું ત્યારે તિજોરીનું લોક ખુલ્લું હતું અને અંદર રાખેલા આશરે 6,56,000 રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના ગાયબ હતા. ચોરી અંગે પરિવારજનોએ પોતાના બાળકને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે સામે રહેતી સગીરા ઘરમાં આવતી-જતી હતી. શંકાના આધારે સગીરાની કડક પૂછપરછ કરાતાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.
ટોકવાની જૂની અદાવતમાં રચાયું ચોરીનું કાવતરું
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આશરે 15 દિવસ પહેલાં આરોપી પ્રશાંત ઠાકોર સગીરાના ઘરે આવ્યો હતો, ત્યારે ફરિયાદી વિનયે તેને 'તારે અમારા મોહલ્લામાં આવવું નહીં' તેમ કહીને ટોક્યો હતો. આ વાતનું મનમાં વેર રાખી વિનયને પાઠ ભણાવવા માટે પ્રશાંત અને સગીરાએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.
યોજના મુજબ ઘરમાં કોઈ નહોતું તે તકનો લાભ ઉઠાવી સગીરા ઘરમાં ઘૂસી હતી અને તિજોરીમાંથી દાગીના ચોરીને તમામ મુદ્દામાલ પ્રશાંતને સોંપી દીધો હતો. ત્યારબાદ પ્રશાંતે આ ચોરીનો મુદ્દામાલ બહાર કોઈ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો. હાલ રામોલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









