Ahmedabad

અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક ટ્રેન 24મી સપ્ટેમ્બરથી નિયમિત દોડશે, મુસાફરોને ભાડામાં રાહત સાથે સુવિધાઓ મળશે

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક વિશેષ ટ્રેનને હવે નિયમિત એક્સપ્રેસ તરીકે દોડાવાશે. 24 સપ્ટેમ્બર 2026થી આ સેવા શરૂ થશે. ટ્રેન નંબર 19419 અમદાવાદથી દર ગુરુવારે સવારે 9.20 કલાકે ઉપડી, ત્રીજા દિવસે તિરુચ્ચિરાપલ્લી પહોંચશે. પરત ટ્રેન નંબર 19420 રવિવારે સવારે 5.45 કલાકે ઉપડી, સોમવારે અમદાવાદ પહોંચશે. મુસાફરોને ભાડામાં રાહત અને સરળ રિઝર્વેશનનો લાભ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી સાપ્તાહિક ટ્રેન 24મી સપ્ટેમ્બરથી નિયમિત દોડશે, મુસાફરોને ભાડામાં રાહત સાથે સુવિધાઓ મળશે

Ahmedabad-Tiruchirappalli Train: અમદાવાદથી તામિલનાડુના તિરુચ્ચિરાપલ્લી વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન હવે નિયમિત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલને હવે 19419/19420 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ તરીકે નિયમિત દોડાવવાનો નિર્ણય લેવાયો છે. નવી નિયમિત સેવા 24મી સપ્ટેમ્બર 2026થી શરૂ થશે.

નિયમિત સેવા શરૂ થતાં લાંબા અંતરની આ ટ્રેનમાં મુસાફરોને વિશેષ ટ્રેનની સરખામણીએ ભાડામાં રાહત મળવાની સાથે નિયમિત સમયપત્રક, રિઝર્વેશનની વધુ સુવિધા અને મુસાફરીનું અગાઉથી આયોજન કરવાનો લાભ મળશે. ખાસ કરીને અમદાવાદથી દક્ષિણ ભારત તરફ જતા મુસાફરો માટે આ સેવા વધુ ઉપયોગી બનશે.

ગુરુવારે અમદાવાદથી ઉપડશે, શનિવારે તિરુચ્ચિરાપલ્લીપહોંચશે

ટ્રેન નંબર 19419 અમદાવાદ-તિરુચ્ચિરાપલ્લી એક્સપ્રેસ દર ગુરુવારે અમદાવાદથી સવારે 9.20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે શનિવારે સવારે 3.35 કલાકે તિરૂચ્ચિરાપ્પલ્લિ પહોંચશે.

પરત ટ્રેન નંબર 19420 તિરુચ્ચિરાપલ્લી-અમદાવાદ એક્સપ્રેસ દર રવિવારે સવારે 5.45 કલાકે તિરુચ્ચિરાપલ્લીથી ઉપડશે અને બીજા દિવસે સોમવારે રાત્રે 9.15 કલાકે અમદાવાદ પહોંચશે. પરત સેવા 27 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ગુજરાત સહિત દક્ષિણ ભારતનાં અનેક શહેરોને જોડશે

ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગિ, વાડી, કૃષ્ણા, રાયચૂર, મંત્રાલયમ, આદોની, ગુંટકલ, તાડિપત્રિ, કડપા, રેણિગુંટા, અરક્કોણમ, પેરમ્બૂર, ચેન્નાઈ એષુંબૂર, તામ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલૂર, ચિદમ્બરમ, શિરકાષિ, વૈથીશ્વરન કોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ, પાપનાસમ અને તંજાવૂર સહિતના સ્ટેશનો પર રોકાશે.

કયા કોચ રહેશે?

ટ્રેનમાં મુસાફરોની વિવિધ કેટેગરીને ધ્યાનમાં રાખીને AC 2-ટિયર, AC 3-ટિયર, સ્લીપર અને જનરલ કેટેગરીના કોચ ઉપલબ્ધ રહેશે.

નિયમિત થતા મુસાફરોને શું ફાયદો?

•સ્પેશિયલ ટ્રેનની સરખામણીએ નિયમિત એક્સપ્રેસનું ભાડું ઓછું રહેવાની રાહત.
•દર અઠવાડિયે નિશ્ચિત દિવસની સેવા હોવાથી મુસાફરીનું અગાઉથી આયોજન સરળ.
•લાંબા રૂટ માટે નિયમિત રિઝર્વેશન ઉપલબ્ધ રહેશે.
•ગુજરાતથી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ વચ્ચે સીધી કનેક્ટિવિટી મજબૂત થશે.
•ચેન્નાઈ, તંજાવૂર, કુંભકોણમ અને તિરુચ્ચિરાપલ્લી જેવા દક્ષિણ ભારતનાં મહત્વનાં શહેરો સુધી મુસાફરી સરળ બનશે.