અમદાવાદ: વિંઝોલમાં સોની પરિવાર દર્શનાર્થે ગયો ને બંધ ફ્લેટમાંથી 7.63 લાખની ચોરી, પોલીસે તપાસ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Theft Case: અમદાવાદ એસ.પી. રિંગ રોડ પર વિંઝોલ સ્થિત શ્રીફળ એન્કલેવમાં રહેતા સોની પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 7.63 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. 11મી સપ્ટેમ્બરની રાત્રિથી 13મી સપ્ટેમ્બરની વહેલી સવાર દરમિયાન પરિવાર બનાસકાંઠા ખાતે દર્શનાર્થે ગયો હતો. ત્યારે મુખ્ય દરવાજા અને તિજોરીના લોક તોડી આ ચોરી આચરવામાં આવી હતી. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાડોશીએ વહેલી સવારે ફોન કરીને ચોરી થઈ હોવાની જાણ કરી
મળતી માહિતી અનુસાર, શ્રીફળ એન્કલેવમાં રહેતા અને વિનોબાભાવેનગરમાં સોની કામ કરતા 38 વર્ષીય નીતિન સોની 11મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યે પરિવાર સાથે બનાસકાંઠાના ભાભર ખાતે માતાજીના દર્શન કરવા ગયા હતા. 13મી સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે 4:30 વાગ્યા આસપાસ પાંચમા માળે રહેતા પાડોશી મહેશ સોનીએ ફોન કરીને ફ્લેટનું તાળું તૂટેલું હોવાની જાણ કરી હતી. નીતિન સવારે 9 વાગ્યે અમદાવાદ આવી પહોંચતાં ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો અને તિજોરીનું લોક તૂટેલું જોવા મળ્યું હતું.
તપાસ દરમિયાન તિજોરીમાંથી 6.65 લાખ રૂપિયાની કિંમતના આશરે 66.5 ગ્રામ સોનાના દાગીના, 48 હજાર રૂપિયાની કિંમતના 480 ગ્રામ ચાંદીના દાગીના અને 50 હજાર રૂપિયા રોકડા ગાયબ હોવાનું જણાયું હતું. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. પરિવાર માત્ર બે દિવસ માટે જ બહાર ગયો હતો. આટલા ટૂંકા ગાળામાં તસ્કરોએ સીધા ત્રીજા માળે આવેલા ફ્લેટને ટાર્ગેટ કર્યો હોવાથી, સ્થાનિક સ્તરે કે કોઈ પરિચિત દ્વારા ઘર બંધ હોવાની રેકી કરવામાં આવી હોવાની આશંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.




