અમદાવાદ: સુભાષ બ્રિજની જગ્યાએ નવો પુલ બે વર્ષે તૈયાર થશે! ખર્ચમાં કરોડોનો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Subhash Bridge Redevelopment: અમદાવાદની સાબરમતી નદી પરના સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બનાવવાનો નિર્ણય કરાયા બાદ 8 લેનના નવા બ્રિજની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. જેમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર સંપૂર્ણ બ્રિજ તૈયાર થતા 24 મહિના એટલે કે 2 વર્ષનો સમય લાગશે. જોકે, એક સાઇડનો બ્રિજ 16 મહિનામાં પૂર્ણ કરી દેવાનો નિર્ધાર પણ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સંપૂર્ણ બ્રિજ નવો બનાવવાનો હોવાથી તેના કુલ ખર્ચમાં 5 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
કોન્ટ્રાક્ટર યથાવત રહેશે પણ સ્ટીલ, સિમેન્ટ, લેબર અને બિટ્યુમીન વગેરેના ભાવ તફાવતની વધારે રકમ ચૂકવાશે
અમદાવાદના સુભાષ બ્રિજને ગત ડિસેમ્બર 2025થી વાહન વ્યવહાર માટે બંધ કરાયા બાદ આજ સુધીમાં માત્ર જૂના બ્રિજને તોડી પાડવાથી આગળની વિશેષ કોઈ કામગીરી થઈ નથી. અગાઉ બ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડીને નવું બનાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ થોડા દિવસો પહેલાં મ્યુનિસિપલ કમિશનરે બ્રિજના જૂના પિલરોમાં પણ તિરાડો પડી ગઈ હોવાનું જણાવી આખો બ્રિજ નવો બનાવવાની જાહેરાત કરી હતી. દરમિયાનમાં હવે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા મ્યુનિસિપલની રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની આગામી શુક્રવારે મળનારી બેઠકમાં એક દરખાસ્ત મુકવામાં આવી છે.
જેમાં નવા બ્રિજનો 236 કરોડ રૂપિયાનો અગાઉનો ખર્ચ હવે વધીને 241 કરોડ રૂપિયા થવાનો અંદાજ રજૂ કરાયો છે. એટલું જ નહીં સ્ટીલ, સિમેન્ટ, લેબર, બિટ્યુમીન, પીઓએલ, મટિરિયલ વગેરેના ભાવ તફાવતની રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવવાની શરત પણ દરખાસ્તમાં રાખવામાં આવી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 લેનનો નવો બ્રિજ તૈયાર કરવા માટે દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા. લિ. નામની કોન્ટ્રાક્ટર એજન્સી યથાવત રાખવામાં આવી છે.









